Ahmedabad,તા.13
વડાપ્રધાન મોદીએ આજે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ લોકોની મદદ કરી હતી. આ દુર્ઘટનામાં એકમાત્ર જીવતો બચી ગયેલ યાત્રી રમેશ વિશ્વાસકુમાર સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. વિશ્વાસે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે, હું વિમાનમાંથી કૂદયો નહોતો, બલકે સીટ સહિત બહાર આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્લેન દુર્ઘટનાના કેટલાક કલાકો બાદ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું કે, લોહીથી લથપથ વિશ્વાસકુમાર એમ્બ્યુલન્સ તરફ જઈ રહ્યો છે.
40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશ બ્રિટીશ નાગરિક છે, જે ભારત પોતાના પરિવારને મળવા આવ્યો હતો. તે પોતાના ભાઈ અજયકુમાર (ઉ.45) સાથે યુકે પરત ફરી રહ્યો હતો.
વિશ્વાસ સીટ નં.11 એ પર બેઠો હતો, જયારે તેનો ભાઈ અલગ લાઈનમાં બેઠો હતો.વિશ્વાસે જણાવ્યું હતું કે, વિમાને ઉડાન ભર્યાની 30 સેકન્ડ બાદ એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
આ બધું બહુ ઝડપથી થઈ ગયુ હતું. હું જયારે ભાનમાં આવ્યો તો મારી ચારે બાજુ લાશો પડી હતી. હું ડરી ગયો હતો, હું ઉભો થયો અને ભાગ્યો. મારી ચારે બાજુ વિમાનના ટૂકડા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલે લઈ જવાયો હતો.