Kolkata તા.17
અમેરિકાના સાન ફ્રાન્સીસ્કોથી કોલકતા થઈને મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં મંગળવારે સવારે ટેકનીકલ ખામી આવી હતી. યાત્રીઓને કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવા પડયા હતા. ફલાઈટના ડાબા એન્જીનમાં ટેકનીકલ ખરાબી આવી ગઈ હતી. આ કારણે કોલકાતાથી મુંબઈ ઉડાન ભરવામાં મોડું થયું હતું.
વિમાનમાંથી બધા યાત્રીઓને ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. વિમાનના કેપ્ટને યાત્રીઓને જણાવ્યું હતું કે ઉડાનની સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-180 નિર્ધારિત સમયે સાન ફ્રાન્સીસ્કો એરપોર્ટથી રવાના થઈ હતી, જો કે કોલકતા એરપોર્ટ પર મધરાતે 12.45 વાગ્યે પહોંચવા પર તેના ડાબા એન્જીનમાં ખરાબી આવી ગઈ હતી. આથી બધા યાત્રીઓને ઉતારવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદમાં લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ ક્રેશ થતા 270થી વધુ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત તાજેતરમાં હોંગકોંગથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ 315ને ઉડાન દરમિયાન ટેકનીકલ સમસ્યાની શંકાએ પરત દિલ્હી ફરવું પડયું હતું.
આ ઉપરાંત રવિવારે લંડનના હિથ્રો એરપોર્ટથી ચેન્નાઈ (ભારત) જવા રવાના થયેલ બ્રિટીશ એરવેઝની ઉડાન બીએ35ને ઉડાન ભર્યાની કેટલીક મીનીટો બાદ ટેકનીકલ ખામી અનુભવાઈ હતી. તો બોઈંગ 787-8 ડ્રીમલાઈનર બપોરે 1.16 વાગ્યે (બ્રિટીશ સમય મુજબ) 36 મીનીટ મોડુ ઉડયું હતું.
લગભગ 15 હજાર ફુટની ઉંચાઈ પર પાયલોટો ફલેપ સિસ્ટમમાં ગરબડના સંકેત મળતા વિમાનને ડોવરની ખડી ઉપર હોલ્ડીંગ પેટર્નમાં અનેક ચકકર લગાવવા પડયા હતા.
આ દરમિયાન વિમાન લગભગ 12 હજાર ફુટ પર રહ્યું અને સુરક્ષિત લેન્ડીંગ માટે વધારાનું ઈંધણ હવામાંજ ફેંકી દીધું, જેથી વજન ઓછું થઈ શકે, લગભગ એક કલાક 45 મીનીટ બાદ હીથ્રોના રનવે પર સુરક્ષિત લેન્ડીંગ કરાવી, બધા યાત્રીઓ ક્રુને સુરક્ષિત ઉતારાયા હતા.