Ahmedaba,તા.18
અમદાવાદમાં ગુરુવારે (12 જૂને) અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડતાં વિમાનમાં સવાર 242માંથી 241ના મૃત્યુ થયા હતા. જોકે, વિમાનમાં સવાર વિશ્વાસ કુમાર નામના વ્યક્તિનો બચાવ થયો હતો. વિશ્વાસ કુમાર અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી સારવાર લઈને સ્વસ્થ થઈ પોતાના વતન દીવ પહોંચ્યો છે. જોકે, વિશ્વાસ સાથે લંડનની ફ્લાઇટમાં બેઠેલો તેનો ભાઈ તેના જેટલો નસીબદાર ન નીકળ્યો અને તેનું મૃત્યુ થયું. વિશ્વાસ બુધવારે (18 જૂન) દીવમાં પોતાના ભાઈની અંતિમ વિધિમાં પહોંચ્યો હતો, જ્યાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
વિશ્વાસ પોતાના વતન દીવમાં ભાઈને ગુમાવવાના દુઃખથી રડી રહ્યો હતો. પોતાનો જીવ બચી ગયો પરંતુ, ભાઈને ગુમાવવાનું દુઃખ તે સહન નહતો કરી શક્યો. ભાઈને કાંધ આપતાં સમયે રડતા જોઈ શકાય છે.
વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું હતું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું. મહત્ત્વપૂર્ણ છે કે વિશ્વાસ કુમાર રમેશ મૂળ દીવનો છે અને બ્રિટનમાં રહેતો હતો.