Kedarnath,તા.18
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છે કે, આ વર્ષની કેદારનાથ યાત્રા નવો ઈતિહાસ લખશે. યાત્રાકાળના માત્ર 47 દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો 11 લાખની પાર પહોંચી ગયો છે.
પાછલા વર્ષોની વાત કરીએ તો આ આંકડો 2023માં 70 દિવસમાં પાર થયો હતો, જ્યારે 2024માં 117 દિવસમાં. આ વર્ષે છેલ્લા બે વર્ષના આખી સીઝનના રેકોર્ડ તૂટવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુની સંખ્યામાં વધાવાથી પર્યટન અને યાત્રાધામોને વેગ મળવાની સાથે પર્યટન સાથે સંકળાયેલા વ્યવસાયીઓના ચહેરા પર રોનક દેખાઈ રહી છે.
ગત 2 મે ના રોજ કેદારનાથ ધામના કપાટ સામાન્ય શ્રદ્ધાળુના દર્શન માટે ખોલવામાં આવ્યા હતા. પહેલા દિવસે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. શરૂઆતના દસ દિવસ સુધી ઘોડા અને ખચ્ચરોની બીમારી અને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે યાત્રા થોડી પ્રભાવિત થઈ હતી. પરંતુ ત્યારબાદ યાત્રાએ વેગ પકડતાં શ્રદ્ધાળુની સંખ્યામાં વધારો થવા લાગ્યો. શ્રદ્ધાળુઓ પગપાળા, ઘોડા-ખચ્ચર, ડંડી-કંડી અને હવાઈ સેવા દ્વારા પહોંચી રહ્યા છે. દરરોજ લગભગ 23 હજાર શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરીને પુણ્ય કમાય રહ્યા છે.
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને બદરી-કેદાર મંદિર સમિતિ અને વહીવટીતંત્રએ કેદારનાથમાં દૈનિક દર્શનનો સમય પણ વધાર્યો છે, જેથી વધુને વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરીને પાછા ફરી શકે. આ વખતે ટોકન સિસ્ટમ દ્વારા બાબા કેદારનાથના દર્શન થઈ રહ્યા છે.
વર્ષ 2023માં અત્યાર સુધીમાં આખી સીઝનમાં સૌથી વધુ 1957850 શ્રદ્ધાળુઓએ ભોલે બાબાના દર્શન કર્યા હતા. તે વર્ષે 70 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 11 લાખને પાર પહોંચી હતી. જ્યારે ગત વર્ષે 2024માં આખી સીઝનમાં માત્ર 1652076 શ્રદ્ધાળુઓએ ભોલે બાબાના દર્શન કર્યા હતા. ત્યારે 117 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જોકે, ગત વર્ષે 31 જુલાઈના રોજ કેદારનાથ પદયાત્રી માર્ગ પર આવેલી દુર્ઘટનાને કારણે 29 સ્થળોએ રસ્તો ધોવાઈ ગયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં 15થી 20 તારીખથી યાત્રાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓને કેદારનાથ મોકલવામાં આવી રહ્યા હતા. જેના કારણે આખી સીઝનમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો.
આ વર્ષે યાત્રા સીઝનના માત્ર 47 દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો 11 લાખને પાર પહોંચી ગયો છે. ચાર ધામોમાં કેદારનાથ ધામ યાત્રાળુઓના દર્શનોમાં ટોપ પર છે. આ વર્ષે કેદારનાથમાં ભક્તોની ભારે ભીડને કારણે પાછલા વર્ષોના તમામ રેકોર્ડ તૂટી જવાની ધારણા છે. આ વખતે કેદારનાથ યાત્રા એક નવો ઈતિહાસ લખવા તરફ આગળ વધી રહી છે.
દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ બાબાના દર્શનની સાથે-સાથે નવી કેદારપુરીના સ્વરૂપને નિહારવા માટે પણ મોટી સંખ્યામાં કેદારનાથ પહોંચી રહ્યા છે. યાત્રાની રફ્તાર વધવાથી પર્યટન વ્યવસાયીઓની સાથે-સાથે હેલિકોપ્ટર સેવા, ઘોડા-ખચ્ચર, ડંડી-કંડી, પાલખી સંચાલકો સારા વ્યવસાયની અપેક્ષા રાખી રહ્યા છે.
છેલ્લા 8 વર્ષના શ્રદ્ધાળુઓના દર્શનના આંકડા
– 2025 1113975 (17 જૂન સુધી)
– 2024 1652076
– 2023 1957850
– 2022 1561882
– 2021 242712
– 2020 135287
– 2019 1000035
– 2018 732241