New Delhi,તા.20
ઈઝરાયેલ-ઈરાન, રશીયા-યુક્રેન જેવા દેશો વચ્ચે યુદ્ધ સહિતનાં વિશ્વ સ્તરે અનેક ભૌગોલીક ટેન્શન છતાં તે ભારત કે ભારતીય અર્થતંત્ર માટે અવરોધક નથી અને સમગ્ર દુનિયામાં રોકાણ કરવાની દ્રષ્ટિએ સૌથી સુરક્ષીત અને શ્રેષ્ઠ એવુ એકમાત્ર રાષ્ટ્ર ભારત હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ.
ભારતીય રાજકારણ અને સરકારમાં સૌથી શકિતશાળી નેતાઓ પૈકીનાં એક એવા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની સ્થિર લોકશાહી તથા સરકારની પારદર્શક નીતિઓને કારણે વૈશ્વિક સુરક્ષા પરિપ્રેક્ષ્યમાં ભારત રોકાણ માટેનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર છે.માત્ર સુરક્ષીત નહિં પરંતુ રોકાણ કરવા માટેનું એકમાત્ર રાષ્ટ્ર છે.
અમિત શાહે કહ્યું કે, ભારત-પારદર્શી નીતિ ધરાવતું લોકશાહી રાષ્ટ્ર છે.140 કરોડની વસતીને કારણે મોટુ કન્ઝયુમર માર્કેટ ધરાવે છે. કૌશલ્ય ધરાવતું મોટુ છે. આ સંજોગોમાં વૈશ્વિક ભૌગોલીક ટેન્શન ભારત માટે કોઈ વિઘ્ન સર્જી શકે તેમ નથી. એટલૂ જ નહિં ભારત તેમાંથી તક ઉભી કરી શકે છે.
તેઓએ સ્વીકાર્યું કે, ભલે થોડા ઘણા વિઘ્નરૂપ કે શંકા સર્જનારા મુદ્દા હોય તો પણ તેનો નિકાલ આવી જાય છે. વિશ્વના કોઈપણ દેશ તકલીફ વિના આગળ વધી શકયા નથી કે વિકસી શકયા નથી. ભારત વિકાસની છલાંગ લગાવવા તૈયાર છે અને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બની જ રહે છે પ્રવર્તમાન વાતાવરણમાં પણ ભારતની આર્થિક વિકાસની રફતાર જળવાયેલી છે.
8 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યા વિના વિકસીત રાષ્ટ્રનો લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ હોવાની વાસ્તવિકતા વિશે અમિત શાહે કહ્યુ કે આર્થિક વૃધ્ધિદરની ગણતરી વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં થવી જોઈએ પ્રવર્તમાન વૈશ્વિક માહોલમાં ભારત દુનિયાની ટોપ-10 અર્થ વ્યવસ્થાઓ સાથે સ્પર્ધામાં ઉભુ છે અને ભારતનો વિકાસદર તે ધોરણે જ છે.
તેઓએ કહ્યું કે, કોઈપણ મહામારી ત્રાટકે ત્યારે ગમે તે અર્થ વ્યવસ્થાનો વિકાસ દર ધીમો પડયો હોય છે. છતાં ભારતે વૃધ્ધિદર જાળવી રાખ્યો છે. વિશ્વ સ્તરે છેલ્લા સાત-આઠ વર્ષથી સૌથી વધુ ઝડપે વિકસતુ અર્થતંત્ર ભારતનું છે. હવે 8 ટકાના વૃધ્ધિદરની ગણતરી કરવામાં આવે છે ત્યારે વિશ્વ સ્તરના તત્કાલીન આંકડાઓ ધ્યાને લેવા પડે.
ભારતમાંથી વિદેશી રોકાણ પાછુ ઠેલાય રહ્યું હોવાના દાવા વિશે તેઓએ કહ્યું કે ભારતીય કંપનીઓ-કોર્પોરેટ ક્ષેત્ર માટે આ પોઝીટીવ નિશાની છે છેલ્લા 11 વર્ષમાં ભારતમાં સીધુ વિદેશી રોકાણ 154 ટકા વધીને 749 અબજ ડોલર થયુ છે. યુપીએ શાસન કરતા ઘણુ વધુ છે. હવે કોઈ નેગેટીવ વાતાવરણ સર્જવુ ન જોઈએ. ભારતીય કોર્પોરેટ જગતનાં વિસ્તરણ-વ્યાપને વધારવો જોઈએ.