Uttarakhand ,તા.21
પાંચ વર્ષ બાદ આખરે ભારતીય યાત્રાળુઓ માનસરોવરની યાત્રાએ જઈ રહ્યાં છે. શુક્રવારે યાત્રાળુઓની પ્રથમ ટુકડી સિક્કિમના નાથુલાથી રવાના થઈ હતી. વિદેશ મંત્રાલય દ્વારા કોમ્પ્યુટર આધારિત લોટરી સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની પસંદગી કરવામાં આવી હતી.
મે મહિનામાં આ લોકોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે યાત્રા માટે કુલ 5,561 મુસાફરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 4,024 પુરુષો અને 1,537 સ્ત્રીઓ હતી. તેમાંથી 750 મુસાફરોની પસંદગી કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર જૂનથી ઓગસ્ટની વચ્ચે 50-50 તીર્થયાત્રીઓની કુલ 15 ટુકડીઓ માનસરોવર યાત્રા માટે રવાનાં થશે. જેમાંથી 50 યાત્રાળુઓની પાંચ ટુકડીઓ લિપુલેખ થઈને માનસરોવર જશે, જ્યારે 50-50 યાત્રાળુઓની 10 ટુકડીઓ જુદા જુદા સમયે નાથુલા માર્ગથી રવાનાં થશે.
બંને રૂટ એકદમ મોટરેબલ બનાવવામાં આવ્યાં છે, તેથી મુસાફરોને પગપાળા ખૂબ જ ઓછી મુસાફરી કરવી પડશે તેવું પણ જાણવા મળ્યું છે. દરેક જૂથની મુસાફરીનો સમયગાળો 21 દિવસનો રહેશે અને મુસાફર દીઠ અંદાજિત ખર્ચ 2.83 લાખ રૂપિયા થશે.
છેલ્લી બેચ 7 ઓગસ્ટે યાત્રા માટે રવાનાં થશે. મુસાફરોએ આખી મુસાફરી દરમિયાન માન્ય ભારતીય પાસપોર્ટ સાથે રાખવો જરૂરી છે અને સરકાર મારફતે આ મુસાફરીને સબસિડી આપવામાં આવતી નથી.