65 વર્ષીય વૃદ્ધને બળાત્કારના કેસમાં ખોટી રીતે ફિટ કરી દેવાયાનો પરિજનો દ્વારા આક્ષેપ
Jasdan,તા.27
જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધા બાદ પરિજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. 65 વર્ષીય વૃદ્ધ માલાભાઈ ચાવડાને દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરી દઈ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રૂપિયાની માંગણી કરવામાં આવી હોય અને વડોદ ગામના સરપંચ સહીતે આ કૃત્ય આચર્યું હોય તેવા આક્ષેપ સાથે વૃદ્ધને આપઘાત કરવાની ફરજ પાડનાર વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર મહિલા, વડોદ ગામના સરપંચ સહીત ચાર વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા સહીતની કલમો હેઠળ જસદણ પોલીસમાં ગુનો નોંધાયો હતો. મામલામાં જસદણના વડોદ ગામે રહેતા મૃતકના પુત્રવધુ 34 વર્ષીય આશાવર્કર ભારતીબેન પ્રવીણભાઈ ચાવડાએ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સસરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલા, વડોદ ગામના સરપંચ હિંમતભાઈ ગોરધનભાઈ ડાભી, જલાભાઈ ભોળાભાઈ ઓળકીયા અને સંજયભાઈ જાગાભાઈ રોજાસરાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં પતિ, ત્રણ નણંદ અને સસરા હતા. તેમના સસરા વાડી ખાતે આવેલ મકાને રહેતા હતા. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે ત્રણ માસ પૂર્વે એક મહિલાએ મારા સસરા માલાભાઈ ભખાભાઈ ચાવડા (ઉ.વ.65) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસંધાને મારા સસરા એક માસ સુધી જેલમાં રહ્યા હતા અને હાલ તેઓ જામીન પર છૂટ્યા બાદ અમારી વાડીએ રહેતા હતા.
. રાત્રે જમ્યા બાદ સસરાએ કહેલ કે, આવતી કાલે મારે રાજકોટ સ્ટેશન કોર્ટમાં મુદત છે જેથી હું રમેશભાઈને મળવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી ગયેલ હતા. થોડીવાર બાદ સસરા પરત આવી મને કહેલ કે, હું વાડીએ જાવ છું બાદમાં તેઓ વાડીએ જતા રહેલ હતા અને અમે અમારા ઘરે સૂઈ ગયેલ હતા. ત્યારે મારા સસરા ઓરડીની બહાર સુતા પડેલ હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તબીબી ટીમ વાડી ખાતે દોડી આવી હતી અને મારા સસરાને તપાસી મૃત જાહેર કર્યા હતા. બાદમાં અમને મારા સસરાના મોત વિશે શંકા જતા રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા જણાવ્યું હતું. જેથી પોલીસે મૃતદેહને ફોરેન્સિક અર્થે ખસેડ્યો હતો. બાદમાં સસરાનો પીએમ થઈ જતા સસરાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાનું જાહેર કર્યું હતું.
વધુમાં પરિણીતાએ જસદણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક મહિલાએ મારા સસરા વિરુદ્ધ અગાઉ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમારા ગામના સરપંચ હિંમતભાઈ ગોરધનભાઈ ડાભી, જલાભાઇ ભોળાભાઈ ઓળકિયા અને સંજયભાઈ જાગાભાઈ રોજાસરાએ ભેગા મળી બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. અગાઉ મારા સસરા પાસેથી દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર મહિલાએ આશરે એક લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. . પરંતુ બળાત્કારની ખોટી ફરિયાદના લીધે મારા સસરાની આબરૂને ધક્કો લાગેલો હોય જેથી તેમણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
મામલામાં જસદણ પોલીસે વડોદ ગામના સરપંચ હિંમતભાઈ ગોરધનભાઈ ડાભી, દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા સહીત ચાર વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા બદલ બીએનએસની કલમ 108,351(2), 54 અને એટ્રોસિટી એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.