New Delhi તા.21
ગઈકાલે પેપરલીક મુદે શિક્ષણમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ પર છેક સંસદભવન સુધી સફળ કૂચ બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કર્યુ છે કે ફરી સંસદ કૂચ યોજાશે નહી. પરંતુ જંતર મંતર પર ધરણા ચાલુ રખાશે.
ગઈકાલની કૂચમાં જે રીતે વિદ્યાર્થીઓ અને પ્રદર્શનમાં ભાગ લેનાર પર પોલીસે બળપ્રયોગ કર્યો અને અનેકને લોહીલુહાણ કર્યા તે પછી હવે કૂચ નહી યોજવા જાહેરાત કરી છે અને સીજેપીના સ્થાપક અભિજીત દિપકે કહ્યું કે પોલીસે વધુ પડતો બળપ્રયોગ કર્યો છે અને હજુ કરી શકે છે.
અમારા ટેકેદારોની સુરક્ષા મહત્વની છે તેથી અમે જંતર મંતર પર જ ધરણા કરશું અને સંસદની કોઈ કૂચ યોજશું નહી. આમ આંદોલનકારીઓએ જંતર મંતરને જ ધરણા સ્થળ તરીકે યથાવત રાખ્યું છે.
બીજી તરફ આંદોલનકારીઓએ ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે જે બેઠક યોજી હતી તેને નિષ્ફળ ગણાવીને કહ્યું કે સરકારે કોઈ આશ્વાસન આપ્યુ નથી. લગભગ ચાર કલાક સુધી મળવા માટે રાહ જોવડાવી અને પછીની બેઠકમાં સરકાર કોઈ આશ્વાસન આપવા તૈયાર નથી. અમને આમંત્રણ અપાયુ હતું તેથી અમે વાટાઘાટ માટે ગયા હતા પરંતુ સરકાર તરફથી અકળ વલણ અપનાવાયુ છે.

