Dwarka, તા.4
ભારતના પશ્ચિમી ક્ષેત્રે બિરાજતા ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ એવા દ્વારકા જગતમંદિર અગાઉના વર્ષોમાં દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેથી દ્વારકા જગતમંદિરને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. આમ છતાં અનેક વખત મંદિર સુરક્ષા બાબતે કહેવાથી ક્ષતિઓ સામે આવતા ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક ટીમ બનાવીને દ્વારકા મોકલવામાં આવી છે.
આ ટીમ દ્વારા ગઈકાલે ગુરુવારે દ્વારકાના જગત મંદિર તથા તેમની ફરતે આવેલ તમામ બાંધકામો તેમજ જગત મંદિર અંદર આવવા માટેના આવેલા પ્રવેશદ્વારનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ દ્વારકાધીશ મંદિરની અંદર પ્રવેશ કરતા ભક્તોનું કેવી રીતે ચેકિંગ કરવામાં આવે છે. તે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી માસથી તહેવારોની વણઝાર આવી રહી છે. ત્યારે દ્વારકાના જગત મંદિરમાં ભક્તોની ખૂબ જ ભીડ રહેશે. આ દરમિયાન યાત્રીકો તેમજ જગત મંદિરના સુરક્ષા માટે સરકાર વધુ સજાગ થઈ છે. જે પ્રકરણે એન.એસ.જી. કમાન્ડોની ટીમ દ્વારકા આવી હતી.
આ વચ્ચે મહત્વનું છે કે દ્વારકાધીશ મંદિરમાં દરરોજ આશરે પંદર હજારથી વધુ ભક્તો દર્શનાર્થે આવે છે. હાલ ગુજરાત પોલીસ દ્વારા જગતમંદિરની સુરક્ષા કામગીરી કરવામાં આવે છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે હાલની પોલીસ ટીમની સંખ્યા ઓછી કહેવાય છે.
આ ઉપરાંત આવતા સમયમાં જુદા જુદા તહેવારો આવતા હોય અને દ્વારકાનો મુખ્ય તહેવાર જન્માષ્ટમી પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, ત્યારે જગત મંદિરમાં યાત્રિકોની સંખ્યા અનેક ગણી વધી જાય છે.
આથી જગત મંદિરની સુરક્ષાની વ્યવસ્થાનું ગુરુવારે એન.એસ.જી. કમાન્ડોએ સૂક્ષ્મ નિરીક્ષણ વિગતવાર કર્યું હતું. અને સુરક્ષા બાબતની તમામ જાણકારી મેળવી હતી. એન.એસ.જી. કમાન્ડો સાથે દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટે તથા હિમાંશુ ચૌહાણ પણ જોડાયા હતા. અને મંદિર વિશે કમાન્ડોને જરૂરી માહિતી આપી હતી.