Porbandar,તા.14
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વેરાવળથી દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને પોરબંદરના કોલીખડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. યાત્રાળુઓ ભરેલી મિની બસના ચાલકે ગાયને બચાવવા જતાં કાબૂ ગુમાવતા બસ પટલી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે અનેય 17 શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વેરાવળના ભાલકા તીર્થ ખાતેથી મિની બસમાં 18 શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન પોરબંદર નજીક કોલીખડા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રતનબહેન પરમાર (ઉં.વ. 65)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે પોરબંદર પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.