Bhavnagar,તા.24
ભંડારિયા- મેલકડીના ડુંગરમાં આવેલા ધાવડી માતાજીના મંદિરે પરંપરાગત રીતે દિવાસાના પર્વે આજે ખીરનો વિશિષ્ઠ હવન યોજાશે. આ વખતે સમયસર વરસાદ થવાથી પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે ત્યારે યાત્રિકો ઉપરાંત સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડવાની ધારણા છે.
સૌરાષ્ટ્રમાં જુદી જુદી પરંપરાઓ જોવા મળી રહી છે જેની સાથે કોઈને કોઈ ઇતિહાસ, પ્રસંગ જોડાયેલો હોય છે, ભાવનગરના ભંડારિયામાં પ્રતિવર્ષ થતા ખીરના હવનની પરંપરા પાછળ “ભયંકર રોગચાળાથી પશુઓને બચાવવા માતાજીની માનતા માનવામાં આવી અને માતાજીએ રક્ષણ કર્યાની લોકવાયકા છે.”બસ ત્યારથી પ્રતિવર્ષ માતાજીને ખીરનો ભોગ ધરાવાની પરંપરા રહી છે, લગભગ દસ બાર દાયકા જૂની આ પરંપરા આજે પણ એટલા જ શ્રદ્ધા ભાવથી સચવાઈ છે.
આ દિવસે અહી માત્ર ખીર જ બને છે. મોટા તપેલા ભરી ભરીને ખીરનો પ્રસાદ બને છે, સૌ ગામજનો, ભાવિકો અહી ભરપેટ ખીરનો પ્રસાદ જમે છે અને બરણી ભરીને ઘરે લઈ જવાની પ્રથા પણ ખરી ! માત્ર ભંડારિયા નહિ આજુબાજુના ગામના લોકો પણ ભાવથી ખીરનો પ્રસાદ લેવા આવે છે, ભાવનગર સહિત અન્યત્ર વસેલા ગ્રામજનો આવવાનું ચૂકતા નથી.
દરેક જ્ઞાતિજનો માતાજીના સાનિધ્યમાં એકત્ર થઇ ખીરનો પ્રસાદ લે છે જે ગામની એકતાનું પણ ઉદાહરણ જોવા મળે છે. અસલ ગામઠી શૈલીમાં લોકોને થાળી મોઢે પ્રસાદ જમતા જોવું તે પણ શહેરના લોકો માટે લહાવો છે.! પ્રકૃતિના ખોળે બિરાજતા ધાવડી માતાનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તો અહીંની આબોહવા, લીલા ડુંગરાઓ અને ઘેઘુર વડલાની વડવાઈઓ પ્રકૃતિપ્રેમીઓને અહીં ખેચી લાવે છે.