Washington, તા.5
અબજોપતિ એલોન મસ્કની બે્રઇન-ચિપ કંપની ન્યુરાલિંક મગજમાં ચિપ મૂકીને અંધાપો સંપૂર્ણપણે દૂર કરવાનાં મિશન પર કામ કરી રહી છે. મસ્કની આ જાહેરાતે માનવ ક્ષમતાઓની સીમાઓ અંગે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.
અગાઉ માત્ર લકવાગ્રસ્ત (પેરાલાઇઝ્ડ) દર્દીઓને વિચાર માત્રથી ડિજિટલ સાધનો કંટ્રોલ કરવામાં મદદ કરવા સુધી સીમિત રહેલી ન્યુરાલિંક હવે દ્રષ્ટિ પાછી લાવવાની દિશામાં આગળ વધી રહી છે. મસ્કના જણાવ્યાં મુજબ, આ પ્રોજેક્ટ સફળ થવાથી જન્મથી અંધ હોય તેવા લોકોને પણ જોવાની ક્ષમતા મળશે.
`સૂપરહ્યુમન’ વિઝન અને સુપરહીરો જેવી દ્રષ્ટિ
આ ટેક્નોલોજી માત્ર સામાન્ય માનવ દ્રષ્ટિ આપવા સુધી સીમિત નથી રહેવાની. મસ્કના જણાવ્યા મુજબ, લાંબા ગાળે ન્યુરાલિંક અલ્ટ્રા-HD રિઝોલ્યુશન અને સુપરહીરો જેવી અદ્ભૂત શક્તિઓ આપશે. મગજમાં ફિટ થનારી આ ચિપના ભવિષ્યનાં મોડેલ્સ વડે માણસ ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ અને રડાર જેવાં તરંગોને પણ જોઈ શકશે, જે સામાન્ય માનવ આંખ માટે જોવું અશક્ય હોય છે.
સંરક્ષણ, નેવિગેશન અને ઉદ્યોગ ક્ષેત્રે મોટો ક્રાંતિકારી બદલાવ
ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ કે રડાર જેવી જોવાની ક્ષમતા મળવાથી સંરક્ષણ (ડિફેન્સ), નેવિગેશન અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં મોટો ફેરફાર આવી શકે છે.ખાસ કરીને ઓછી વિઝિબિલિટી ધરાવતાં કે સંપૂર્ણ અંધારાવાળા વાતાવરણમાં આ ટેક્નોલોજી મનુષ્યનાં કામ કરવાની રીત બદલી નાખશે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ સ્તરનું વિઝન મેળવવા માટે ડેટા પ્રોસેસિંગ, પાવર ક્ષમતા અને બે્રઇન પ્લાસ્ટિસિટીમાં વિશાળ પ્રગતિની જરૂર પડશે.
ન્યુરાલિંકનું ભવિષ્ય : પેરાલિસિસથી આગળ વધીને સંવેદનાત્મક ક્રાંતિ
ન્યુરાલિંકના પ્રારંભિક પ્રયોગો માત્ર પેરાલાઇઝ્ડ દર્દીઓને વિચાર માત્રથી કમ્પ્યુટર કે ડિજિટલ સાધનો ઓપરેટ કરવામાં મદદ કરવા સુધી સીમિત હતાં. પરંતુ દ્રષ્ટિ પાછી લાવવા જેવો સંવેદનાત્મક ફેરફાર કંપનીનાં દાયરાને ખૂબ મોટો બનાવે છે. એલોન મસ્કે દાવો કર્યો હતો કે, “હવે ભવિષ્ય સાયન્સ ફિક્શન નથી રહ્યું, પરંતુ તે ન્યુરાલિંક એટલે કે વાસ્તવિક બની ચૂક્યું છે.”
આંખોને બાયપાસ કરીને સીધા મગજના વિઝ્યુઅલ કોર્ટેક્સમાં સિગ્નલ અપાશે
એલોન મસ્કે જાહેરાત કરી છે કે આગામી 6 થી 12 મહિનામાં ન્યુરાલિંક દ્રષ્ટિ આપતાં પ્રથમ ડિવાઇસનું ઇમ્પ્લાન્ટ કરવા જઈ રહી છે. આ ટેક્નોલોજી ખરાબ થયેલી આંખો કે ઓપ્ટિક નર્વને રિપેર કરવાને બદલે, આંખોને સંપૂર્ણપણે બાયપાસ કરીને બહારની માહિતીને ન્યુરલ સિગ્નલમાં બદલશે અને તેને સીધાં મગજનાં વિઝ્યુઅલ કોર્ટેક્સ (દ્રષ્ટિનું કેન્દ્ર) સુધી પહોંચાડશે. આનાથી જે વ્યક્તિ જન્મથી 100 ટકા અંધ છે, તેનું મગજ પણ આ સિગ્નલો પ્રોસેસ કરીને ચિત્ર જોઈ શકશે.

