Prabhaspatan, તા.29
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી. મોટા પ્રમાણમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી રહેલા ભાવિક ભક્તો માટે વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરળતાથી દર્શન થાય તે માટેની વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ સંદર્ભમાં જણાવ્યું કે, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારને લીધે શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડે છે.
કલેક્ટરે જિલ્લા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી ઈમરજન્સી માટે મેડિકલ ટીમ તથા અગ્નીશમન દળ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રસાદના કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યાં છે. દિવ્યાંગ અને સીનિયર સીટિઝનો માટે ઈ-કાર્ટની વ્યવસ્થા, ‘પાર્કિંગ સુવિધાઓ’, ‘પીવાના પાણીની સુવિધા’ ઉભી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. જેમાં અમુક લોકો પગપાળા પહોંચ્યા છે તો અમુક કાવડિયા હરદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને ભગવાન સદાશિવને જળ ચડાવવા માટે પહોંચે છે.સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ નિશ્ચિંત થઈ અને મંદિરમાં ભગવાન સોમનાથના દર્શન કરે તેવી શુભકામનાઓ કલેક્ટરે પાઠવી હતી.