(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૨
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે ખોડિયાર મંદિર નજીક શ્વાનોના હુમલામાં એક હરણનું મોત નીપજતાં વન્યજીવપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. ઘુઘરાળા નજીક જંગલ વિસ્તાર આવેલો હોવાથી આ વિસ્તારમાં હરણોની મોટી સંખ્યામાં વસતી જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, ખોડિયાર મંદિર નજીક હરણ પર શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાનોના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હરણનું અંતે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃત હરણનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ ઘુઘરાળા પંથકમાં હરણોની ઇન્ફાઇટનો વીડિયો પણ સામે આવ્યો હતો. હરણોની અવરજવર માટે જાણીતા આ વિસ્તારમાં હવે શ્વાનોના હુમલામાં હરણનું મોત થતાં વન્યજીવોની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા છે.
વનવિભાગ દ્વારા મૃત હરણના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હરણના મોતનું ચોક્કસ કારણ સહિતની વધુ વિગતો સામે આવશે.

