Vadodara,તા.૨૦
શહેરના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૨૪માં નવરાત્રિ દરમિયાન સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. હવે આગામી ૨૫ ઓગસ્ટે દોષિતોને સજા સંભળાવવામાં આવશે.
કેસમાં પોલીસે ઝડપી તપાસ કરીને ગણતરીના દિવસોમાં પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા અને ઘટનાના આશરે ૧૭ દિવસમાં પોક્સો કોર્ટમાં ૬ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટ સમક્ષ રજૂ થયેલા સાક્ષીઓ, મેડિકલ પુરાવા અને સાંયોગિક પુરાવાની વિવિધ કડીઓને આધારે પાંચેય આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે.
આ કેસની ઘટના ૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ બીજા નોરતાની રાત્રે બની હતી. ૧૬ વર્ષની સગીરા પોતાના મિત્ર સાથે ગરબા જોવા માટે બહાર ગઈ હતી. પોલીસ ફરિયાદ અને તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સગીરા અને તેનો મિત્ર ભાયલી વિસ્તારમાં એક સ્થળે બેઠા હતા. તે સમયે પાંચ આરોપીઓ બાઈક પર ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો કેસ હતો. ઘટના બાદ આરોપીઓ સગીરાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટના બાદ સગીરા અને તેનો મિત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં પરિવારજનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ ની ગંભીર ઘટના સામે આવતા પોલીસ વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની વિવિધ ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ટેકનિકલ અને અન્ય પુરાવાના આધારે ગણતરીના દિવસોમાં પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરીને આશરે ૧૭ દિવસમાં પોક્સો કોર્ટમાં લગભગ ૬ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની તપાસ દરમિયાન આરોપીઓ વિરુદ્ધ મેડિકલ પુરાવા, સાક્ષીઓની જુબાની અને અન્ય સાંયોગિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલ નયન સુખડવાલાના જણાવ્યા અનુસાર, કેસમાં પ્રોસિક્યુશન દ્વારા સાંયોગિક પુરાવાની વિવિધ કડીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં પાંચ પૈકી બે આરોપીઓએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત સગીરાનો મોબાઈલ ફોન પણ લઈ જવામાં આવ્યો હોવાનો આરોપ હતો.
સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે, પુરાવાનો નાશ કરવાના હેતુથી સગીરાનો મોબાઈલ ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંકવામાં આવ્યો હોવાનો કેસમાં દાવો કરવામાં આવ્યો હતો. મોબાઈલ શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અને સંબંધિત અધિકારીઓની જુબાની પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેડિકલ પુરાવાને પણ પ્રોસિક્યુશન દ્વારા મહત્વપૂર્ણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલના જણાવ્યા અનુસાર, આ કેસમાં પ્રોસિક્યુશન માટે સાંયોગિક પુરાવા મહત્વપૂર્ણ હતા. આવા કેસમાં ઘટનાથી જોડાયેલા વિવિધ સંજોગોની કડીઓ એકબીજા સાથે જોડાય અને આરોપ તરફ નિર્દેશ કરે તે જરૂરી હોય છે. પોલીસ અને પ્રોસિક્યુશન ટીમે રજૂ કરેલા પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી. કોર્ટને પુરાવા સંતોષજનક જણાતા પાંચેય આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હાલ કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. હવે ૨૫ ઓગસ્ટે તેમને કઈ સજા કરવામાં આવે છે તે અંગે કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવવામાં આવશે. વર્ષ ૨૦૨૪ની નવરાત્રિ દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે ચકચાર જગાવી હતી. હવે ચુકાદાના તબક્કે પાંચેય આરોપીઓ દોષિત ઠરતા કેસમાં સજા અંગેનો નિર્ણય મહત્વનો બન્યો છે.

