Mumbai ,તા.26
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સોમવારે પોતાની ટેસ્ટ કારકિર્દીના કેટલાક પાસાઓ પર વિચાર કરતા કહ્યું કે, આ ફોર્મેટ પડકારજનક અને થકવી નાખે તેવું છે પરંતુ તેણે પોતાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પોતાને તૈયાર કર્યા. રોહિતે આ વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. 35 વર્ષીય બેટ્સમેને 67 ટેસ્ટ મેચોમાં 40.58 ની સરેરાશથી 4301 રન બનાવ્યા.
નાનપણથી જ તૈયારી
રોહિતે એક પેનલ ચર્ચા દરમિયાન કહ્યું, ’આ એવી બાબત છે જેના માટે તમારે તૈયારી કરવી પડશે, કારણ કે આ રમતમાં તમારે લાંબા સમય સુધી મેદાન પર રહેવું પડે છે.
ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં, જેમાં તમારે પાંચ દિવસ રમવાનું હોય છે. માનસિક રીતે તે ખૂબ જ પડકારજનક અને કંટાળાજનક પણ છે. પરંતુ બધા ક્રિકેટરો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમીને મોટા થયા છે.’
તેમણે કહ્યું, ’જ્યારે આપણે સ્પર્ધાત્મક સ્તરે ક્રિકેટ રમવાનું શરૂ કરીએ છીએ, ત્યારે મુંબઈમાં ક્લબ ક્રિકેટ મેચ પણ બે-ત્રણ દિવસ ચાલે છે. આ રીતે આપણે નાનપણથી જ તેના માટે તૈયાર થઈએ છીએ. આનાથી મેદાનમાં આવતી પરિસ્થિતિઓનો સામનો કરવો થોડું સરળ બને છે.’
રોહિતે કહ્યું કે, બધા યુવા ખેલાડીઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં સારી તૈયારીઓનું મહત્વ સમજતા નથી, પરંતુ ધીમે ધીમે તેનું મહત્વ સમજવા લાગે છે. તેમણે કહ્યું, ’જ્યારે તમે ખૂબ નાના હો છો, ત્યારે તમને તૈયારીનું મહત્વ સમજાતું નથી.
પરંતુ જેમ જેમ તમે આગળ વધો છો, તેમ તેમ તમે સમજો છો કે તે તમને એક પ્રકારની શિસ્ત આપે છે જેની રમતમાં માંગ હોય છે, તેથી તે તૈયારીથી શરૂ થાય છે, એ સમજવાથી કે એપોએ બરાબર શું કરવાની જરૂર છે.’ રોહિતે કહ્યું, ’ટેસ્ટ રમતી વખતે ઘણું બધું કરવાનું હોય છે અને એકાગ્રતા સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે.’