(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૨
લાઠી-લીલીયા પંથકમાં વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાતા વિસ્તારોને જળસમૃદ્ધ બનાવવાની દિશામાં ધોળકિયા ફાઉન્ડેશન અને હરિ કૃષ્ણ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી જળસંચયની કામગીરીને હવે રાષ્ટ્રીય સ્તરે વધુ એક મહત્વપૂર્ણ સન્માન મળવા જઈ રહ્યું છે. ગાગડિયા નદી પર હરિ કૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
આ નિમિત્તે આગામી ૨૭ ઓગસ્ટના રોજ સવારે ૯ વાગ્યે લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી ગુજરાતના ગૌરવસમા સરોવરનું લોકાર્પણ કરશે. મહાનુભાવના આગમનને લઈને સમગ્ર લાઠી-લીલીયા પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ લાઠી-લીલીયા પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી જળસંચય અને જળસંરક્ષણની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. એક સમયે જળવિહોણા પ્રદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ચેકડેમ, તળાવો, નદી ઊંડીકરણ સહિતની કામગીરીના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થયો છે અને ખેતી તથા ગ્રામ્ય જીવનને પણ તેનો સીધો લાભ મળ્યો છે.
જળસંચયની આ કામગીરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ બિરદાવી છે. ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ પ્રકારની જળસંરક્ષણ પ્રવૃત્તિની પ્રશંસા કરી હોવાનું જણાવાયું છે. સ્થાનિક સ્તરે શરૂ થયેલી જળક્રાંતિ હવે દેશભરમાં જળસંચયના સફળ મોડેલ તરીકે ચર્ચાઈ રહી છે.
ગાગડિયા નદી પર નિર્મિત ગુજરાત ગૌરવ સરોવર આ સમગ્ર જળસંચય અભિયાનમાં વધુ એક મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહ્યું છે. સરોવરના લોકાર્પણ સાથે લાઠી-લીલીયા પંથકમાં જળસંચયની કામગીરીને નવી ગતિ અને ઓળખ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આગમનને લઈને કાર્યક્રમના આયોજનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ગૃહમંત્રીના સ્વાગત માટે સ્થાનિક આગેવાનો, સંસ્થાઓ તથા ગ્રામજનોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એક સમયે પાણીની અછત માટે જાણીતા લાઠી-લીલીયા વિસ્તારને જળસંચયના માધ્યમથી જળસમૃદ્ધ બનાવવાની દિશામાં થયેલી કામગીરી હવે ગુજરાતની જળક્રાંતિની મહત્વપૂર્ણ ગાથા બની રહી છે. ૨૭ ઓગસ્ટનો દિવસ આ જળસંરક્ષણ અભિયાન માટે ઐતિહાસિક બની રહેશે. તેમ મનોજ જોષીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ચાર વર્ષ પહેલા તા.૧૧-૯-૨૨ ના રોજ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચાર વર્ષ બાદ ફરી અમરેલી જિલ્લાના પ્રવાસે આવી રહેલા અમિત શાહને આવકારવા લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

