Khambhaliya, તા.9
સૌરાષ્ટ્રમાં ફરી ભૂકંપની લાઈન સક્રિય થઈ હોય તેમ ગઈકાલે એક જ દિવસમાં ત્રણ હળવા ભૂકંપ નોંધાયા છે. ગોંડલમાં સોમવારની મોડી રાત્રીના 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ભરનિંદરમાંથી જાગી હતા. જ્યારે મોડી સાંજે ભાણવડ-પોરબંદર પંથકમાં ભૂંકપના બે હળવા આંચકા નોંધાયા હતા.જો કે કોઈ નુકશાનીના અહેવાલ નથી.
સોમવારના મધ્ય રાત્રીના 2ઃ11 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેનું એ.પી. સેન્ટર ગોંડલથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતુ અને જમીનની 13.7 કિ.મી. નીચે નોંધાયું હતું. રાત્રીનો સમય હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં આંચકાની અસર વધુ વર્તાઈ હતી. ગામડામાં બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા. શહેરમાં બહુમાળી ઈમારતમાં રહેતા લોકો જાગી ગયા હતા.
પોરબંદર પંથકમાં પણ મોડીસાંજે હળવા અનુભવાયા હતા સાંજે 7ઃ32 વાગ્યે અને 7ઃ37 વાગ્યે 2.3ની તીવ્રતાના હળવા આંચકા નોંધાયા હતા આંચકાનું કેન્દ્રબિંદુ પોરબંદરથી 33 અને 34 કિ. મી.દૂર નોંધાયું હતું. ભાણવડમાં ભૂકંપના આંચકાની વધુ અસર નોંધાઈ હતી.
ભાણવડ
ભાણવડ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જમીનમાં ભેદી-પ્રચંડ ધડાકા થતા લોકોમાં ભયનો માહોલ ખડો થયો છે.પ્રચંડ આંચકાથી બીલ્ડીંગની છતમાંથી પોપડા ખરી પડે છે. ત્યારે આ બાબતને ગંભીર ગણી ચેમ્બર્સનાં પ્રમુખ નિમેશ ઘેલાણી તેમજ એડવોકેટ પંકજ દવેએ જીલ્લા કલેકટર સહીત મામલતદારને લેખીત-મોખીક રજુઆત કરી તાત્કાલીક તપાસ કરવાની માંગણી કરી છે.
ભાણવડમાં શનિવારથી ભૂકંપ જેવા ભૂર્ગભમાં ધડાકા થઈ રહ્યો છે. દિવસ દરમ્યાન અવાનનવાર થતાં ભેદી અને પ્રચંડ ધડાકાઓને સીલસીલો સોમવારે પણ ચાલુ રહ્યો હતો પ્રચંડ ધડાકા થવાથી ધરતી પણ ધણધણી ઉઠી છે.
ભેદી અને પ્રચંડ ધડાકા થવાથી કેટલાંકના ધરોમાં છત ઉપરથી પોપડા પણ ખરી રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં દિવાલો અને છત ઉપર તીરાડો પણ પડી રહી છે. દિવસ દરમ્યાન થતાં ધડાકાઓતી લોકોમાં પણ ભયનો માહોલ ખડો થઈ રહ્યો છે. ગભરાટના કારણે લોકો ઘરની બહાર દોડી આવે છે, જે પુનહ જવામાં ગભરાટ અનુભવે છે. સરકારી તંત્ર આ બાબતને ગંભીર ગણી તાકીદે તપાસ કરે એવી માંગણી થઈ છે.
ખંભાળિયા
ભાણવડ તાલુકામાં ગઈકાલે સોમવારે પ્રચંડ ધડાકા સાથે ધરતી ધણધણી ઉઠી હતી. જેના કારણે અનેક ઘરોની છતમાં ઉપરથી પોપડા પણ ખર્યા હતા. આ વચ્ચે કેટલાક કિસ્સાઓમાં દીવાલો અને છત ઉપર તિરાડો પર પણ પડી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ગઈકાલે દિવસ દરમિયાન થયેલા આ પ્રકારના ધડાકાઓથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
આ અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રએ ગાંધીનગર સ્થિત ભારતીય સિસ્મોલોજી રિસર્ચ કચેરી પાસેથી માહિતી મેળવતાં ભાણવડ પાસે 2.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાહેર થયું છે. આ ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાની અંગેના અહેવાલો નથી. ત્યારે ભૂકંપ સંદર્ભેની ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
ભૂકંપની પરિસ્થિતિમાં લોકોએ તમામ કુટુંબીજનો સાથે ભૂકંપ વિશેની સાઈઝ સાચી માહિતીની ચર્ચા કરી અને જાણકારી આપવા, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરી અને જુના મકાનોનું ટેકનોલોજીની મદદથી મજબૂતીકરણ કરવા, છત પરના પંખાઓને યોગ્ય રીતે મજબૂત રહે તેમ ફીટ કરવા, અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહીં તેવી પ્લાસ્ટિકની કોથળીમાં રાખી અને તેની ઝેરોક્ષ નકલો કરાવીને અન્ય સ્થળે રાખવા, કુટુંબમાં ઓછામાં ઓછી એક વ્યક્તિએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવા, આપત્તિ સમયે ગભરાયા વગર સ્વસ્થ રહી અને ખોટી દોડાદોડી નહીં કરવા, ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ખુલ્લી જગ્યાએ રહેવા, બહુમાળી મકાનમાં રહેતા લોકોએ આપત્તિના સમયમાં લિફ્ટનો ઉપયોગ ન કરવા, વાહન ચલાવતા સમયે એક સાઈડ વાહન રોકીને વાહનમાં જ બેસી રહેવા, વિગેરે બાબતે સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત ભૂકંપની પરિસ્થિતિ બાદ પણ વિવિધ મુદ્દે સાવચેતી અને સાવધાની રાખીને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી, જરૂર પડ્યે જિલ્લા આપત્તિ વ્યવસ્થા કેન્દ્રના ફોન નંબર 02833- 232084, 02833- 232125, અથવા મોબાઈલ નંબર 7859923844 કે ટોલ ફ્રી નંબર 1077 ઉપર સંપર્ક સાધવા અને વહીવટી તંત્રને સહયોગ આપવા વધુમાં અનુરોધ કરવામાં આવ્યો છે.