રૂરલ એસપીના પૂર્વ પીએ સહીત બે લોકોને લૂંટી લીધા : ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ
અયોધ્યા ચોક નજીક નિવૃત ક્લાર્કને અટકાવી આશ્રમ વિષે પૂછી રોકડ, ઘડિયાળ, દાગીના અને મોબાઈલ પડાવી ફરાર
Rajkot,તા.11
શહેરમાં સવારના સમયે આ પ્રકારે બે લોકોને લૂંટી લેવાયાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. જે બંને ઘટનામાં અયોધ્યા ચોક પાસે રહેતા અને રાજકોટ રૂરલ એસ.પી. કચેરીમાં અગાઉ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત જીવન પસાર કરતા વૃદ્ધને વાતોમાં વળગાવી તેની પાસેથી ઘડિયાળ અને સોનાનો ચેન સેરવી લીધો હતો. ઉપરાંત આ જ પ્રકારે રેલનગર વિસ્તારમાં એક વ્યક્તિને ટોળકીએ વાતોમાં વળગાવી તેની પાસેથી સોનાની વીંટી સેરવી નાસી ગઈ હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે અયોધ્યા ચોક પાસે આવેલ ડાયમંડ પાર્કમાં રહેતા પ્રફુલભાઈ નટવરલાલ વસાણી (હ.વ.૬૩) આજે સવારે આઠેક વાગ્યાની આસપાસ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહેલ હતી.
જે કારમાં સાધુ જેવા લાગતા ત્રણ શખ્સો બેસેલા હતા. જેઓએ પ્રફુલભાઈને અટકાવીને હિન્દી ભાષામાં વાત કરતા પૂછ્યું હતું કે, હમ લોગ પ્રયાગરાજ કી ઓર સે આ રહે હે, ઓર હમે નજદીક મે કહી પે આશ્રમ હો તો વહા વિશ્રામ કરના હૈ, જેથી પ્રફુલભાઈ જણાવ્યું હતું કે, અહીં આશ્રમ તો નથી પણ માધાપર ચોકડી નજીક જામનગર રોડ પર એક ગૌશાળા આવેલ છે, પરંતુ તે સાધુ જેવા લાગતા શખ્સોએ કહ્યું હતું કે, હમે તો આશ્રમ પે હી જાના હૈ, જે વાતચીત દરમિયાન સાધુઓએ તેમનો ખરાબ ઈરાદો પાર પાડવા પ્રફુલભાઈ સાથે થોડી અંગત વાતો ચાલુ કરી હતી.જે બાદ સાધુએ તેમની પાસે પ્રથમ ઘડિયાળ બાદમાં મોબાઈલ માંગતા તેઓએ ઘડિયાળ અને મોબાઈલ આપી હતી. જેમાં સાધુઓએ તેમને પહેરેલ સોનાનો ચેન અને વીંટી જોવા માટે માંગ્યા હતા.
બીજો બનાવ જંકશન પોલીસ ચોકી પાસે આવેલ ઓમ સુઝુકીના શોરૂમ પાસે બન્યો હતો. જેમાં રેલનગરમાં આવેલ શિવમ પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા પ્રીતમદાસ લાલચંદ ઘઘાડી (ઉ.વ.62) આજે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ પોતે વોકિંગમાં નીકળ્યા હતા. ત્યારે તેઓ જંકશન પોલીસ ચોકી પાસે પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી.
જેમાં બેસેલ ત્રણ હિન્દી ભાષી શખ્સોએ તેમને આજીડેમ ચોકડી કઈ તરફ આવી હોવાનું પૂછ્યું હતું. જે અંગે વૃદ્ધે તેમને સરનામું બતાવ્યું હતું. જે બાદ તે કારમાં રહેલ શખ્સોએ તેમને પ્રથમ રૂ.500 આપી તુમ બહુત બડે ભાગ્યશાલી વ્યક્તિ હો, ઇસ પૈસે સે ગાય કો ચારા ડાલ દેના કહી ફસાવ્યા હતા. અને બાદમાં તેમને પહેરેલ ચાર ગ્રામની વીંટી જોવા માટે માંગી હતી. જે બાદ વૃધે તે વીંટી આરોપીઓને આપતા જ તે શખ્સો વીંટી લઈ નાસી છૂટ્યા હતા.બનાવ અંગે ગાંધીગ્રામ અને પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી અને આ મદારી ગેંગને પકડવા ગાંધીગ્રામ, પ્ર. નગર, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી સહિતની ટીમોએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી હતી.