Mumbai,તા.17
હૃતિક રોશન સાથે ‘કહો ના… પ્યાર હૈ’ ફિલ્મથી શાનદાર શરૂઆત કરનાર અભિનેત્રી અમીષા પટેલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો મને પસંદ નથી કરતા, કારણ કે હું ચાપલૂસી નથી કરતી.’
એક ઇન્ટરવ્યૂમાં અમીષા પટેલે જણાવ્યું કે, ‘ઓડિયન્સનો પ્રેમ સૌથી વધુ મહત્ત્વનો છે, પછી ભલે તમે કોઈ પણ ગ્રુપનો ભાગ હોવ. હા, હું અમુક ગ્રુપનો ભાગ નહોતી, હું શરાબ-સિગારેટ નથી પીતી, કામ માટે ચાપલૂસી નથી કરતી. મને જે પણ કામ મળે છે તે મારી મહેનતથી મળે છે. આ જ કારણથી કેટલાક લોકો મને પસંદ નથી કરતા. હું કોઈની પાછળ નથી ફરતી.’
અમીષાએ આ અંગે વધુમાં કહ્યું કે, ‘જ્યારે કરીના કપૂરે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ છોડી, ત્યારે મને તક મળી. જો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ હોત, તો કદાચ હું પહેલી પસંદ હોત.’
પોતાને ‘આઉટસાઇડર’ ગણાવતા અમીષાએ કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીમાં તમારા માટે ત્યારે વધુ મુશ્કેલીઓ આવે છે, જ્યારે તમારો પતિ કે બોયફ્રેન્ડ આ ઇન્ડસ્ટ્રીમાંથી ન હોય. તેમજ જયારે તમે પાવર કપલ તરીકે તમને રજૂ નથી કરતા ત્યારે પણ ઘણી વાર મુશ્કેલી સર્જાય છે. અન્ય લોકોની સરખામણીમાં ઓછો સપોર્ટ મળે છે, તેમજ તમને સપોર્ટ કરવાનું કોઈ ખાસ કારણ પણ નથી હોતું કારણ કે તમે એક આઉટસાઇડર છો.’
અમીષા પટેલ છેલ્લે ફિલ્મ ‘ગદર 2’માં સની દેઓલ સાથે જોવામાં આવી હતી, જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2001માં આવેલી ‘ગદર: એક પ્રેમ કથા’નો સીક્વલ હતી.