Ahmedabad,તા.૮
અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોની અચાનક હડતાળને કારણે સામાન્ય નાગરિકોને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે આર્થિક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થઈ હતી. રિક્ષાઓ બંધ રહેવાના કારણે શહેરીજનોએ જાહેર પરિવહન પર વધુ નિર્ભર રહેવું પડ્યું હતું, જેના સીધા પરિણામે બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવાઓની મુસાફર સંખ્યા અને દૈનિક આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.
સામાન્ય દિવસો દરમિયાન એએમટીએસ બસ સેવા દ્વારા અંદાજે ૦૬ લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે, જેનાથી દૈનિક સરેરાશ ૩૦ લાખ રૂપિયાની આવક થતી હોય છે. પરંતુ ૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી રિક્ષા ચાલકોની હડતાળના દિવસે આંકડાઓમાં મોટો ફેરફાર નોંધાયો હતો. તે દિવસે એએમટીએસ બસમાં મુસાફરી કરનાર પ્રવાસીઓની સંખ્યા વધીને ૭ લાખ કરતા પણ વધુ પહોંચી ગઈ હતી, જેના પરિણામે એક જ દિવસમાં ૪૭ લાખ રૂપિયાથી વધુની માતબર આવક થવા પામી હતી.
એએમટીએસની સાથે-સાથે બીઆરટીએસ બસ સેવાને પણ રિક્ષા હડતાળનો ભરપૂર લાભ મળ્યો હતો. સામાન્ય દિવસોમાં બીઆરટીએસમાં સરેરાશ ૦૧ લાખ મુસાફરો નોંધાતા હોય છે અને તેના દ્વારા લગભગ ૧૩ લાખ રૂપિયાની દૈનિક આવક થતી હોય છે. જ્યારે ૦૭ સપ્ટેમ્બરના હડતાળના દિવસે મુસાફરોની સંખ્યા વધીને ૧.૫ લાખ સુધી પહોંચી ગઈ હતી, જેના લીધે બીઆરટીએસની દૈનિક આવક વધીને સીધી ૨૦ લાખ રૂપિયા થઈ ગઈ હતી.
રિક્ષા ચાલકોની હડતાળને કારણે રેલવે સ્ટેશને આવતા-જતા મુસાફરો અટવાઈ ન જાય તે માટે તંત્ર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી. કાલુપુર અને સાબરમતી જેવા વ્યસ્ત રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એએમટીએસ દ્વારા મોડી રાત્રે પણ વધારાની ખાસ બસો દોડાવવામાં આવી હતી, જેથી મોડી રાત્રે ટ્રેન દ્વારા શહેરમાં આવતા લોકોને ઘર સુધી પહોંચવામાં કોઈ અગવડ ન પડે.

