Morbi, તા.20
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન હોય અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય તેવા મુદ્દે સોસાયટીના લોકો દ્વારા એકત્ર થઈને બાજુની દિવાલ પાડી દેવામાં આવી હતી. જે મુદ્દે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 60,000 ની નુકસાની કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવાયેલ છે.
એ ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં જાહીરભાઈ બદરૂદ્દીનભાઈ લોખંડવાલા વોરા (49) રહે.એવન્યુ પાર્ક સોસાયટી રવાપર રોડ વાળાએ અનિલ બાબુભાઈ ઉઘરેજા, ભરતભાઇ ઉઘરેજા અને વિમલભાઇ હળવદિયા રહે.યોગેશ્વર સોસાયટી સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓની માલિકીની જમીનમાં બે દીવાલો બનાવવામાં આવેલી હતી.તે દીવાલને તોડી 60,000 ની નુકસાની કરવામાં આવેલ છે. આ બાબતે બી.બી.ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
યુવાન સારવારમાં
મોરબીના મહેન્દ્રપરા પાસે આવેલ કડિયા શેરી ખાતે રહેતા કલ્પેશભાઈ વિનોદભાઈ ડાંગરનું બાઇક સ્લીપ થવાથી ઈજા પામતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામના પાટીયે ઓવરબ્રિજ પાસે જેમાં રીક્ષા અને ટ્રેક્ટર અથડાતા મનોજભાઈ જયસિંહભાઈ વાઘેલા (ઉંમર 32) રહે.ગણેશ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાછળને ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ ઘુંટુ ગામે બહુચર માતાના મંદિર પાસેથી 108 વડે બેભાન હાલતમાં મીનાદેવી નામના 34 વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ તપાસ કરી હતી.
મહીલા સારવારમાં
મોરબીના ઘાંટીલા ગામના વનિતાબેન નંદલાલભાઈ વિડજા નામના 54 વર્ષીય મહિલાને અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ નજીકના તરઘડી ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકર લાગતા સંજય રાયધનભાઈ નાકડા (31) રહે.લતીપુર ધ્રોલ ને અત્રેની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
રાજકોટ હાઇવે લજાઈ ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા થતા અનિલ પ્રવીણભાઈ ગણેશિયા (30) રહે.કાલિકા પ્લોટ ને અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વોરાવાડ નજીક રહેતા કીર્તિબેન મૂળજીભાઈ જોબનપુત્રા (ઉમર 52) ને અમરસરથી વાંકાનેર બાજુ જતા સમયે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા.