જામનગર-ઉના રૂટની સરકારી બસએ તુલસી ટ્રાવેલ્સની બસને ટક્કર મારતા ડ્રાયવર-કંડક્ટર અને ૧૧ મુસાફરો ઘવાયા
Rajkot તા.૧૪ઃ
ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામ નજીક મોહનનગર પાસે રવિવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને એસ.ટી. નિગમની બસ વચ્ચે સામસામી જોરદાર ટક્કર થતાં મહિલા મુસાફરનું મોત નીપજ્યું હતું. જ્યારે બન્ને બસના ચાલકો તેમજ ૧૧ મુસાફરો ઘાયલ થયાં હતા. ઘટનાને પગલે સ્થાનિકોં તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરથી ઉના તરફ જઈ રહેલી એસ.ટી. બસ (જેનો નંબર જીજે૧૮ઝેડ ટી૦૮૮૫ છે) અને તુલસી નામની ખાનગી ટ્રાવેલ્સની બસ (જેનો નંબર જીજે૦૩બીટી૨૮૧૧ છે) વચ્ચે મોહનનગર પાસે વહેલી સવારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને બસોના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. વહેલી સવારે બનેલી આ ઘટનાથી મુસાફરોમાં ભારે ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી વાહનો મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઉપલેટા તેમજ અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં જામનગરના સીતાવન લાલપરી વિસ્તારના રહેવાસી માલતીબેન રમેશભાઈ જોગી નામના એક મહિલા મુસાફરનું અકસ્માતની ઘટના બન્યા બાદ મોત થયું હતું. જેથી મૃતક માલતીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની કાયદાકીય કાર્યવાહી માટે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પોસ્ટમોર્ટમ અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ થતી હકીકત બહાર આવી શકે છે. આ ઉપરાંત, એસ.ટી. બસના કંડક્ટર અને ડ્રાઈવર તેમજ ૧૧ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સહીત જુદી જુદી હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
અકસ્માતની આ ઘટના ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હોવાથી બનાવની જાણ થતાની સાથે જ ભાયાવદર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળ સહિતની જગ્યા ઉપર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવી હતી. હાલ ભાયાવદર પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી આદરવામાં આવી હતી.

