Bharuch,તા.22
આમ આદમી પાર્ટીનાં નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. લાફાકાંડમાં જેલમાં કેદ ચૈતર વસાવાને અગાઉ કોર્ટે વિધાનસભા સત્ર માટે 3 દિવસનાં પેરોલ આપ્યા હતા. જો કે, આ મુદ્દત પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા હતા.
થોડા મહિના પહેલા ડેડીયાપાડામાં આદિવાસી વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારી થઈ હતી. સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વિરુદ્ધ ગુનો નોંધી, તેમની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ ચૈતરના સમર્થકો રાજપીપળાની એલસીબી ઓફિસ બહાર એકઠા થયા હતા. જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચુક્યા છે.
ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં કાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ હતી. તેઓ અગાઉ પોલીસકર્મીઓનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચામાં રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં બોઈલર બ્લાસ્ટ બાદ ચાર કામદારોના મોત થયા હતા. તે પછી ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે ઔદ્યોગિક એકમમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવા, અધિકારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવા અને કામદારોના સંબંધીઓને ઉશ્કેરવાના આરોપમાં બુક થયા હતા. આ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.