Ahmedabadતા.૨૫
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ ૧૭ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી બીજી ઓક્ટોબર-૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૨.૯૭ લાખથી વધુ નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાયા છે. ૧૮૭૭ મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરનાં ૫૪૯૫ જેટલા મુખ્ય રસ્તાઓ, ૩૬૭૭ થી વધુ કોમર્શીયલ વિસ્તાર તેમજ ૩૨૨૯થી વધુ રહેણાંક વિસ્તારની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી થતા રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપી હતી.
આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અનુપમ બ્રિજ પાસે તેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો સર્વ અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, અમુલભાઈ ભટ્ટ, દર્શનાબેન વાઘેલા, દિનેશભાઇ કુશવાહ, જીતુભાઇ પટેલ, શહેરના અગ્રણીઓ પ્રેરકભાઈ શાહ અને ભૂષણભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ- અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.