Dubai,તા.29
ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને હરાવતા ઈતિહાસ રચી દીધો. જોકે આ ખુશી વધારે ન ટકી કેમ કે ટ્રોફીને લઇને મોટો વિવાદ થઇ ગયો.
ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી જ નહીં કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પાકિસ્તાની મોહમ્મદ નકવી છે અને ટીમ ઈન્ડિયા તેમના હસ્તે ટ્રોફી સ્વીકારવા નહોતી માગતી. જેને લઈને લગભગ બે કલાક સુધી ડ્રામા ચાલ્યો અને પછી નકવી ટ્રોફી અને વિજેતા ટીમના મેડલ્સ લઇને હોટેલ નીકળી ગયા હતા.
હવે આ મામલે ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જોરદાર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘મને ટ્રોફીની ચિંતા નથી. મારા માટે ટીમના 14 સાથીઓ જ સૌથી મોટી ટ્રોફી છે. મારા મતે હું જ્યારથી ક્રિકેટ રમું છું મેં એવું ક્યારેય નથી જોયું કે કોઈ વિજેતા ટીમને ટ્રોફી એનાયત ન કરાઈ હોય અને તેને વંચિત કરી દેવામાં આવી. મારો મતલબ એ છે કે અમે ઘણી મહેનત કરી હતી. અમે ટ્રોફી સરળતાથી નહોતા જીત્યા.’
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ આ મામલે હાર બાદ કહ્યું કે, ‘ભારતે જે અમાં સાથે કર્યું તે અયોગ્ય હતું. તેણે મોહમ્મદ નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી અમાં નહીં પણ ક્રિકેટનું જ અપમાન કર્યું છે. જો અન્ય ટીમો પણ આવું કરશે તો આ ક્યાં જઇને અટકશે?
મોહમ્મદ નકવી એસીસીના ચેરમેન છે, જો તમે એમના હસ્તે ટ્રોફી નથી લેવા માગતા તો પછી કોણ આપશે તમને ટ્રોફી? ક્રિકેટર રોલ મોડેલ હોય છે, બાળકો આવું વર્તન જોઇને શું શીખશે. આ ટુર્નામેન્ટમાં જે કંઇ થયું તે અયોગ્ય હતું.’ હેન્ડશેક વિવાદ પર સવાલ ઊઠતાં તેમણે કહ્યું કે આ વિવાદ અંગે તો તમારે ભારતીય ટીમને જ સવાલ કરવા જોઈએ.