Morbi, તા.1
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ શહેરના લોકોને સારી સુખ સુવિધા મળે તે માટે સૌપ્રથમ જે કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું તે સરદારબાગ નવા રંગ રૂપ સાથે તૈયાર થઈ ગયો છે.
જેથી ગઇકાલે સરદાર બાગનું લોકાર્પણ તથા 17.29 કરોડ રૂપિયાની કિંમતના જુદા જુદા 18 જેટલા વિકાસકામોનું ખાતમહુર્ત સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્યો અને અધિકારીઓ સહિતનાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં મોરબીના લોકોને કલ્પના કરતા વધુ સારી સુવિધાઓ મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
મોરબી નગરપાલિકાને ગત જાન્યુઆરી મહિનામાં મહાનગરપાલિકાનો દરજ્જાો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગનું એક કરોડ ત્રણ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવા માટેના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને તે કામ પૂર્ણ થઈ જતા આજે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ના હસ્તે આ નવા રંગ રૂપ સાથે તૈયાર થયેલા સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં રોડ રસ્તા, ગટર, પાણીને લગતા જુદા જુદા કુલ મળીને 18 જેટલા કામો કે જેનો કુલ ખર્ચ 17.29 કરોડ થાય છે તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ.અમૃતિયા, શહેર ભાજપના પ્રમુખ રીસીપભાઈ કૈલા, શહેર ભાજપના મહામંત્રી ભૂપતભાઇ જારીયા અને ભાવેશભાઈ કંઝારીયા, જયંતિભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ખાસ કરીને મોરબી મહાપાલિકા દ્વારા અગાઉ જ્યારે ખાતમહુર્ત નો કાર્યક્રમ યોજાયો હતો અને 40 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે તમામ કામ હાલમાં ચાલુ હોવાનું ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું તો દુર્લભજીભાઈ દેથરિયાએ કહ્યું હતું કે મહાપાલિકાએ અત્યારે જેવો કાર્યક્રમ કર્યો છે આવા કાર્યક્રમ દર મહિને કરવામાં આવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે જે કોઈ દરખાસ્ત સરકારમાં મોકલવાની હોય તે દરખાસ્ત મહાપાલિકા દ્વારા મોકલવામાં આવે તો તાત્કાલિક સરકારમાંથી ગ્રાન્ટ મળે તેવી કામગીરી તેઓ તથા કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવશે જ્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા લોકોને સંબોધતા કહેવામાં આવ્યું હતું કે નગરપાલિકા હતી.
ત્યારે મોરબી નગરપાલિકાનું બજેટ 100 કરોડનું બનતું હતું જોકે મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ 750 કરોડનું બન્યું છે અને સરકાર તરફથી વિકાસ કામો માટે માંગવામાં આવે તેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે ત્યારે આગામી નાણાકીય વર્ષનું બજેટ બને ત્યારે મોરબીના વિકાસ માટે થઈને 1000 કરોડનું બજેટ બને તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
જે કામ કોઈપણ વિસ્તારની અંદર કરવામાં આવતા હોય ત્યાં અધિકારીઓ દરેક જગ્યાએ ન પહોંચી શકે તો જે વિસ્તારની અંદર કામ ચાલુ હોય ત્યાંના સ્થાનિક લોકો દ્વારા દેખરેખ રાખવામાં આવે અને સારામાં સારી ગુણવત્તાના કામ થાય તેમાં સહકાર આપવામાં આવે તો મોરબીના લોકોએ કલ્પના પણ નોકરી હોય તેવો વિકાસ મોરબીનો થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી