Surendranagar તા.3
સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલું એસબીઆઈનું એટીએમ શહેરના મુખ્ય એટીએમ પૈકીનું એક છે અને મોટી સંખ્યામાં ગ્રાહકો અહીં રોકડ રકમ મેળવવા માટે આવે છે. પરંતુ, ત્રણ મહિનાથી સતત આ એટીએમ બંધ રહેતા ગ્રાહકોને અન્ય વિકલ્પો શોધવા મજબૂર થવું પડયું છે. ખાસ કરીને વૃદ્ધો અને જે ગ્રાહકો ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ટેવાયેલા નથી,
તેમને રોકડ મેળવવામાં સૌથી વધુ તકલીફ પડી રહી છે. એક ગ્રાહકે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, અહીં એટીએમ બંધ હોવાથી અમારે રોકડ મેળવવા માટે અન્ય દૂરના વિસ્તારોમાં આવેલા અન્ય બેંકોના કે એસબીઆઈના અન્ય એટીએમ પર જવું પડે છે, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આટલા લાંબા સમયથી એટીએમ બંધ હોવા છતાં બેંક સત્તાવાળાઓ દ્વારા તેને રિપેર કરાવીને ફરી શરૃ કેમ નથી કરાવતા ?
મુખ્ય બેંકનું એટીએમ લાંબા સમય સુધી બંધ રહે તે ગ્રાહકો માટે અસુવિધાજનક છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિસ્થિતિ યથાવત છે.
સમગ્ર મામલે સુરેન્દ્રનગરના નાગરિકો અને એસબીઆઈના ગ્રાહકોની પ્રબળ લોક માંગ છે કે બેંક સત્તાવાળાઓ આ બાબતને ગંભીરતાથી લે અને તાત્કાલિક ધોરણે આ બંધ પડેલા એટીએમ મશીનને ફરીથી કાર્યરત કરાવે, જેથી લોકોને રોકડ મેળવવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવે. બેંક દ્વારા આ અંગે ક્યારે પગલાં લેવામાં આવશે.