New Delhi, તા.17
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. FSSAI એ એક આદેશ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ખાદ્ય કે પીણા ઉત્પાદક તેના બ્રાન્ડ નામમાં ORS (ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ) શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં સિવાય કે તે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્ધારિત મૂળ ORS ફોમ્ર્યુલા પર આધારિત હોય.
અગાઉ, કંપનીઓને તેમના ઉત્પાદન નામોમાં ‘ORS’ શબ્દનો ઉપયોગ કરવાની મંજૂરી હતી, જો કે તેઓએ ચેતવણી આપી હોય કે તે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ભલામણ કરાયેલ ORS ફોમ્ર્યુલા નથી. જો કે, FSSAI એ હવે આ પરવાનગી સંપૂર્ણપણે રદ કરી દીધી છે.
આનો અર્થ એ છે કે, કોઈપણ ચેતવણી આપ્યા પછી પણ ‘ORS’ શબ્દનો ઉપયોગ કરી શકાતો નથી. FSSAI એ સ્પષ્ટતા કરી હતી કે, ઘણી કંપનીઓ તેમના ફળ-આધારિત પીણાં, એનર્જી ડ્રિંક્સ અથવા રેડી-ટુ-ડ્રિંક ઉત્પાદનોને ‘ORS’ તરીકે માર્કેટિંગ કરી રહી છે, ભલે તેમાં WHO ફોમ્ર્યુલા મુજબ જરૂરી માત્રામાં ગ્લુકોઝ, સોડિયમ અને પોટેશિયમ ન હોય. આવા ઉત્પાદનો માત્ર ગેરમાર્ગે દોરનારા નથી પણ બીમાર અથવા ડિહાઇડ્રેશનથી પીડાતા લોકો માટે પણ હાનિકારક હોઈ શકે છે.
નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ પર FSSAI એક્ટ, 2006 ની કલમ 52 અને 53 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનરોને તમામ ઉત્પાદનોમાંથી ‘ORS’ શબ્દ તાત્કાલિક દૂર કરવા અને લેબલિંગ અને જાહેરાત સંબંધિત નિયમોનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ નિર્ણય જાહેર હિતમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ORS એ ડિહાઇડ્રેશન અને ઝાડા જેવી પરિસ્થિતિઓમાં ડોક્ટરની સલાહ પર ઉપયોગમાં લેવાતો જીવનરક્ષક ઉપાય છે. તેથી, ORS નામથી બજારમાં ઉપલબ્ધ કોઈપણ ઉત્પાદન ખરેખર WHO ધોરણો અનુસાર હશે.