Bhavnagar, તા.27
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે તબીબના બંગલામાં શોર્ટસર્કિટથી આગ ભભુકી ઉઠતા ઘરમાં રહેલ એ.સી. ફાટતા ડોકટરનો પરિવાર ઝપટ આવી ગયો હતો અને આગમાં એક બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. જયારે અન્ય 8 લોકોને ગુંગળામણ થતા હોસ્પિટલ ખસેડાયેલ છે.
બનાવથી જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને ત્રણ ગાડી પાણી છંટકાવ કરી ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘરવખરી સળગી જવા પામી છે.
આ બનાવથી મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે પ.ર6 કલાકે શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ટી.વી. કેન્દ્ર નજીક રહેતા શહેરના જાણીતા બાળ રોગના નિષ્ણાંત તબીબ ડો. ચંદન નરમાણીનાં મકાનમાં આગ ભભુકી ઉઠતા ઘરમાં રહેલ એ.સી. ફાટતા તેમાંથી કાર્બનડાયોકસાઇડ વાયુ નીકળતા ઘરમાં રહેલ પરિવારજનો ગુંગળાઇ જવા લાગ્યા હતા. હીત નરમાણી નામનો 15 વર્ષનો બાળક દાઝી ગયો હતો.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગની લપેટમાં આવેલ ડોકટર પરિવારના 9 સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ આગમાં ઘરની તમામ ઘરવખરી સળગી જવા પામી છે.
9 સભ્યો પૈકી ચારેન પ્રથમ સીવીલ હોસ્પિટલમાં અને બાદમાં તમામને બજરંગદાસબાપા આરોગ્ય ધામમાં ખસેડાયેલ છે. જાણવા મળતી વિગતો મુજબ પરિવારનાં સભ્યોને ફેફસામાં તકલીફ થતા તેને સારવાર આપવામાં આવી રહી છે.
આ બનાવમાં ડો. ચંદન નરવાણી (ઉ.વ.31), પ્રીતિબેન નરવાણી (ઉ.વ.3પ), હરગુન નરવાણી (ઉ.વ.4), નીતિન નરવાણી (ઉ.વ.41), સીમાબેન નરવાણી (ઉ.વ.3પ) સુનીતાબેન નરવાણી (ઉ.વ.69) આરવી નરવાણી (ઉ.વ.16) મેસન્સ (ઉ.વ.11) તેમજ હિત નરવાણી (ઉ.વ.1પ) દાઝી ગયેલ છે.
ભાવનગર ફાયર બ્રિગેડનાં સ્ટાફે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી ડો. ચંદન નરવાણીનાં સુરત રહેતા ભાઇ નીતિનભાઇ તેના પરિવાર સાથે દિવાળી કરવા ભાવનગર આવ્્યા હોય તે પણ આ બનાવમાં અસરગ્રસ્ત બન્યા છે.

