Rajkot, 11
પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશન અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે.
ભારત સરકાર દ્વારા પીએમ જનમનના અમલીકરણ સંદર્ભે દેશના જુદા જુદા રાજ્યોની પ્રગતિને ધ્યાને લઇને જે રેંકિંગ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા તારીખ 17 ઓક્ટોબર, 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત રાજ્યને બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTGs) ને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે, જેમાં આવાસ, રોડ-રસ્તાની કનેક્ટિવિટી, પાઇપ મારફતે પાણીનો સપ્લાય, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ, મહિલાઓ માટે આંગણવાડીઓનું નિર્માણ, વીજળીકરણ, મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન, વન ધન વિકાસ કેન્દ્રો તેમજ મલ્ટીપર્પઝ સેન્ટરોની સ્થાપનાનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યમાં પીએમ જનમન હેઠળ PVTG સમુદાયો માટે દ્વારા 14,552 આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2803 ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી, અને આ તમામ એટલે કે 100% ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે.
આ સમુદાયોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, અને 1.25 લાખથી વધુ લોકોએ આરોગ્ય સુવિધાઓનો લાભ મેળવ્યો છે. પીએમ જનમન મિશન હેઠળ, PVTG સમુદાયોની મહિલાઓ માટે આગામી સમયમાં 67 આંગણવાડીઓ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે શિક્ષણના હેતુથી 13 હોસ્ટેલોના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે.
આ મિશન હેઠળ, વીજળી નહોતી પહોંચતી એવા 6630 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે, અને આ સાથે ગુજરાત રાજ્યએ પીએમ જનમન હેઠળ 100 ટકા વીજળીકરણ પૂર્ણ કર્યું છે. પીએમ જનમન હેઠળ આદિમજૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્કની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે 36 નવા મોબાઇલ ટાવરના બાંધકામનું આયોજન કરેલ, જેમાંથી 21 ટાવર ઉભા થઈ ચૂક્યા છે અને 41 આદિમજૂથ વસાહતોમાં 4G સેવા કાર્યરત છે. વધુમાં, માર્ગ સુવિધા હેઠળ 45 નવા રસ્તાઓ (કુલ 94 કિ.મી.)ની મંજૂરી આપવામાં આવી છે.

