Gandhinagar,તા.12
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દબાણોમાં એક ધાર્મિક દબાણ (દરગાહ), ત્રણ દુકાનો અને આઠ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહીમાં આશરે દોઢ કરોડથી વધુ કિંમતની 1300 થી 1400 ચોરસ મીટર સરકારી જમીન ગેરકાયદે દબાણમુક્ત કરવામાં આવી છે. જોકે, ડિમોલેશનની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી ત્યારે એક ધાર્મિક દબાણ હટાવતી વખતે અચાનક મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. આ ટોળાએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
પરિસ્થિતિ બેકાબૂ બનતા ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ અને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ ઘર્ષણમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે કડક વલણ અપનાવીને ટોળામાં ઘૂસી આવેલા અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરનારા તત્વો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

