New Delhi,તા.13
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 માટે આ ટેસ્ટ સીરિઝ ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતે પોતાની છેલ્લી સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને 2-0થી હરાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર કરી હતી.
કોલકાતા ટેસ્ટ પહેલા 13 નવેમ્બરના રોજ ભારતીય કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન ગિલે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. ગિલે ટીમ કોમ્બિનેશન અને અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ગેરહાજરી અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શુભમને ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી. શુભમન ગિલે કહ્યું કે, ‘આ બે ટેસ્ટ મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી WTC ફાઈનલનો માર્ગ નક્કી થશે. દક્ષિણ આફ્રિકા ખૂબ જ મજબૂત ટીમ છે, તે ચેમ્પિયન છે. અમે મુશ્કેલ સમયમાં પરિસ્થિતિને સારી રીતે સંભાળી છે. વિકેટ પણ સારી છે, એક સામાન્ય ભારતીય વિકેટ લાગી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે રમ્યા પછી તરત જ રેડ બોલ ક્રિકેટમાં પાછા ફરવું માનસિક અને શારીરિક રીતે પડકારજનક છે. પરંતુ એક પ્રોફેશનલ ખેલાડી તરીકે તમારે પોતાને મેનેજ કરવું પડે છે.’
મોહમ્મદ શમીની ગેરહાજરી અંગે શુભમન ગિલે કહ્યું કે, ‘શમીભાઈ જેવા બોલરો ભાગ્યે જ મળે છે. પરંતુ અમે આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, બુમરાહ અને સિરાજના તાજેતરના પ્રદર્શનને અવગણી ન શકીએ. અમારી નજર એ વાત પર પણ છે કે, અમે આગામી ટેસ્ટ સીરિઝ ક્યાં રમીશું. સિલેક્ટર્સ તેનો સારી રીતે જવાબ આપી શકે છે.’
શુભમન ગિલે કહ્યું કે, કોલકાતામાં રમવું હંમેશા મારા માટે ખાસ રહ્યું છે. આ શહેર મારા માટે ખૂબ જ ભાવનાત્મક છે. મારું IPL કરિયર અહીંથી જ શરૂ થયુ હતું. અહીં પંજાબ જેવો જ અનુભવ થાય છે. છ વર્ષ પહેલાં હું ટીમનો હિસ્સો હતો, પરંતુ ત્યારે મેં અહીં એક પણ મેચ નહોતી રમી. તે પિંક બોલ ટેસ્ટ હતી અને હવે હું અહીં કેપ્ટન તરીકે રમી રહ્યો છું, આ ખૂબ જ ખાસ એહસાસ છે.’
શુભમન ગિલનું માનવું છે કે, ભારતીય ટીમ પાસે હાલમાં ઘણા ક્વોલિટી ઓલરાઉન્ડર છે. અમારી પાસે એવા ખેલાડીઓ છે જેઓ બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી શકે છે. તેઓ શાનદાર ઓલરાઉન્ડર છે અને તેમના આંકડા પણ તે સાબિત કરે છે. આ સીરિઝ ખૂબ જ રોમાંચક રહેશે. દક્ષિણ આફ્રિકાએ છેલ્લી સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, આપણા ઘરઆંગણાની સ્થિતિમાં રમવું તેમના માટે સરળ નહીં રહેશે. પરંતુ તેઓ ચેમ્પિયન્સ છે અને અમારે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવું પડશે.
ગિલે જણાવ્યું કે, ‘મારી તૈયારી બેટ્સમેન તરીકે હું કેવી રીતે સફળ થઈ શકું તેના પર કેન્દ્રિત છે. કેપ્ટનશીપ કરતી વખતે હું મારી શક્તિઓ પર આધાર રાખું છું. આ એક સમજી-વિચારીને લેવાયેલો નિર્ણય છે. ટીમ કોમ્બિનેશન લગભગ નક્કી છે. અહીં સાંજના સમયે પ્રકાશ ઝડપથી ઓછો થઈ જાય છે, આવી સ્થિતિમાં સવારે અને છેલ્લા સત્રમાં ફાસ્ટ બોલરોને મદદ મળે છે. પરંતુ ભારતીય પરિસ્થિતિઓમાં સ્પિનરો જ ખેલનો નિર્ણય કરે છે.’
શુભમન ગિલે આગળ કહ્યું કે, ‘ભારતમાં રિવર્સ સ્વિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2024માં ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં તમે જોયું હશે કે ફાસ્ટ બોલરોની ભૂમિકા કેટલી નિર્ણાયક રહી. વિદેશી પ્રવાસો પર વર્કલોડ વધુ હોય છે કારણ કે તમારે સતત લાંબા સ્પેલ ફેંકવા પડે છે. વધારાના ઓલરાઉન્ડર સાથે જવું કે વધારાના સ્પિનર સાથે જવું તે હંમેશા મુશ્કેલ હોય છે. તેથી અક્ષર પટેલ અને કુલદીપ યાદવ વચ્ચે પસંદગી કરવી એ ટોસ-અપ જેવું છે. હું હજુ શીખી રહ્યો છું કે, તેને કેવી રીતે મેનેજ કરવું. અલગ-અલગ દેશોમાં મુસાફરી અને ફોર્મેટ બદલવું પડકારજનક હોય છે. પરંતુ મારા માટે તે માનસિક રીતે વધુ પડકારજનક છે, શારીરિક રીતે હું સંપૂર્ણપણે ફિટ અનુભવું છું. તે શીખવા માટે સારી બાબત છે.

