Rajkot. તા.24
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાના આરોપી સુધી પહોંચવામાં પોલીસ હજું સુધી અસફળ રહી છે. પોલીસ માટે ચેલેન્જીંગ બનાવ સસ્પેન્સથી ભરપૂર છે. શનિવારે સાંજે 07:30 વાગ્યે પતિને પાણીપુરી ખાવા જાવ છું કહીં નીકળેલી મહિલાની ઘરથી દોઢ કિમી દૂર વાડી વિસ્તારમાથી લોહીથી લથબથ લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી.
કાન, આંખ અને માથાના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધી હોવાનું સામે આવ્યું છે.પોલીસ કમિશ્નર, ડિસીપી ક્રાઈમ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, બી. ડિવિઝન પોલીસની ટીમોએ તપાસ આદરી હતી.
બનાવ અંગે કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતાં અમીતભાઈ પ્રવીણભાઈ બાવરીયા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં શખ્સનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, હાલ તે તેના સસરા વિજયભાઈ વારડેના મનહર પ્લોટ ખાતે આવેલ પ્રીન્ટીંગ (ડાય પંચીંગ) ના કારખાનામાં રીક્ષાના ફેરા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પિતા પ્રવીણભાઈ છે જે હાલ જૂના મોરબી રોડ ખાતે કારખાનામાં મજૂરીકામ કરે છે. માતા અલ્કાબેન અને ત્રણ બહેનો છે. જેમાં સૌથી મોટા બહેન જયાબેન મકવાણા, તેનાથી નાના બહેન સ્નેહાબેન ઉર્ફે સેવુ હિતેષભાઈ આસોડીયા હતાં. જેઓના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલા હિતેષભાઈ આસોડીયા સાથે થયેલ હતા. ત્યારથી બહેન સ્નેહાબેન તથા બનેવી હિતેષભાઈ બન્ને ભગવતીપરામાં કોપર ગ્રીન સીટી, બ્લોક નં-16, ખાતે તેઓના પોતાના ઘરના મકાનમાં રહે છે. બહેનને સંતાનમાં બે વર્ષનો એક દિકરો શીવાંશ છે.
તેમજ બનેવી હિતેષભાઈ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ લોખંડની ચોરસી બનાવવાનુ કારખાનુ ધરાવે છે. ફરીયાદીનાં બહેનના બીજા લગ્ન છે, અગાઉ તેમના લગ્ન કોઠારીયા રોડ પરના તેમના ઘરની શેરીમા રહેતા દિપકભાઈ ગુજરાતી (ખાંટ) સાથે તેર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયેલ હતા. લગ્નના એકાદ વર્ષ બાદ છુટાછેડા થયેલ હતા. ત્યારબાદથી બહેન તેમની સાથે રહેતી હતી.
ગઈ તા.22 ના તે તેમની પત્ની અવની સાથે કોઠારીયા રોડ પર આવેલ ડી-માર્ટમા ખરીદી કરવા માટે ગયેલ હતા તે દરમ્યાન તેમના બહેન અવનીનો ફોન આવેલ કે, સેવુ તારે ત્યા આવી છે ? હિતેષનો ફોન આવ્યો હતો. જેથી યુવાને કહેલ કે, હું હાલ મોલમા છુ ઘરે જઈને વાત કરૂ, બાદમા ઘરે જતા માતાથી જાણવા મળેલ કે, બહેન સેવુ ઘરેથી સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ પાણીપુરી ખાવા માટે જવાનુ કહી નીકળેલ છે, પરંતુ હજુ સુધી ઘરે પહોંચેલ નથી.
જેથી રાત્રીના દશ વાગ્યાની આસપાસ તે તેના પત્ની સાથે બહેનના કોપરગ્રીન ખાતેના ઘરે આવવા માટે નીકળેલ ત્યારે બનેવીને ફોન કરેલ અને તેમની સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે, તારી બહેન ઘરેથી પાણીપુરી ખાવા નીકળુ છુ, તેમ કહી સાંજથી નીકળેલ છે અને તેણીનો મોબાઇલ ફોન પણ ઘરે રાખીને ગયેલ છે. હજી સુધી ઘરે પહોંચેલ નથી. તેણીએ કહ્યુ હતુ કે, તમે આપણા દિકરાને તેડતા આવજો અને આવતી વખતે મને પણ તેડી જજો. હાલ હુ શીવાંશને મૂકવા મારા પપ્પાના ઘરે જાવુ છુ અને થોડીવારમાં ત્યા પહોંચુ છું.
જે બાદ તેઓ બહેનના ઘરે પહોંચેલ અને થોડા સમયમા બનેવી પણ ત્યા પહોંચી ગયેલ. થોડો સમય ઘરે બનેવી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બહેનને શોધવા આજુબાજુ માટે નીકળેલ તેમજ અલગ-અલગ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસેલ જેમા બહેન લાલ કલરના કૂર્તા તેમજ કાળા કલરની લેગીસમા જતી દેખાય છે. જે આધારે બાદમા ભગવતીપરા તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં આશરે દોઢેક વાગ્યા સુધી તેણીને શોધેલ, પરંતુ બહેન ક્યાય મળી આવેલ નહી. જેથી રાત્રે બે અઢી વાગ્યાના અરસામા અમો અમારા બનેવીના ઘરેથી છૂટા પડેલ. જે બાદ તેઓ ઘરે જતા રહેલ હતા.
બાદમાં ગઈકાલે સવારના આશરે 09/50 વાગ્યે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સોશીયલ મીડીયા
ગ્રુપ પર એક સમાચાર વાંચેલ જેમાં વેલનાથપરા વિસ્તારમાં અજાણી યુવતીની લાશ મળી તેવુ લખેલુ હતુ અને સાથે એક મહીલાનો ફોટો પણ આપેલ હતો. જે ફોટો જોતા તેમાં મહીલાએ પહેરેલ કપડા બહેને ગઈકાલે જે કપડા પહેરેલ હતા તેવા જ હોય તેમજ બાંધો જોતા મારી બહેનના બાંધા જેવો જ જણાતો હતો. જેથી બહેનને ઓળખી લીધેલ હતી.
જે બાદ તુરત જ બનેવીને ફોન કરી આ બાબતે જાણ કરી જે જગ્યાએ બનાવ બનેલ છે તે જગ્યાની જાણ થતા સ્થળ ઉપર પહોચેલ. અને ત્યા જઇને જોયેલ તો બહેનની લાશ ભગવતીપરા મેઇન રોડથી વેલનાથ પરા તરફ જવા માટેના કાચા રસ્તા પર મેઇન રોડથી આશરે 300 મીટર અંદર કાચા માર્ગ પર માર્ગની બાજુના ભાગે લોહીલોહાણ હાલતમાં પડેલ હતી. બહેનના નાકના ભાગે, આંખની બાજુના ભાગે, કાનના ઉપરના ભાગે તેમજ માથામા ઉપરના ભાગે કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરેલ હતી. તેમજ બહેનના શરીર ઉપર કોઈ ઘરેણ હતુ નહી.
બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડિસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને એફએસએલ અને ડોગ સ્કોવર્ડની ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને બી. ડિવિઝન પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો.
પોલીસે મૃતકના પતિ અને પૂર્વ પતિ સહિતના શકમંદની પૂછતાછ આદરી છે. જો કે, હાલ સુધી પોલીસની એકપણ ટીમને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી ન હતી.રાજકોટમાં મહિલાની હત્યા કરાયેલ લાશ મળવાના બનાવવામાં પોલીસ માટે ચેલેન્જીંગ સાબિત થઈ રહ્યું છે. કેમ કે, શંકાના આટા પટ્ટા સર્જતી ઘટનામાં મહિલા ઘરેથી પાણીપુરી ખાવા માટે નીકળી તે સ્થળ દોઢ કિલોમીટર દૂર આવેલ છે, જે સ્થળે પાણીપુરી ખાવા જાય છે, ત્યાંથી ઘટનાસ્થળ પણ દોઢ કિમીના અંતરે આવેલ છે. જેથી પોલીસ પણ હાલ અવઢવમા છે. ઉપરાંત ઘટના સ્થળની આજુબાજુ સીસીટીવી કેમેરા ના હોવાથી પોલીસ માટે તપાસ હાલ અઘરી બની રહી છે.
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી કૂર હત્યા કરાયેલ મહીલાની લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી.પોલીસની જાણ થતા પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતો.ઘટના સ્થળે મહીલાનો મૃતદેહ અને ફાઈલ ફોટોમાં મૃતક અને તેમનું ઘર દ્રશ્યમાન થાય છે.

