Mumbai,તા,04
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાયપુરમાં રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચમાં ફરી એકવાર સિક્કાએ ભારતની કિસ્મતને માત આપી છે. વન-ડે ક્રિકેટમાં આ સતત 20મી વખત છે જ્યારે ભારતીય કેપ્ટન ટોસ જીતવામાં નિષ્ફળ રહ્યો હોય. આ અનોખી અને નિરાશાજનક હારનો સિલસિલો હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. 1,048,576 મેચમાંથી માત્ર એક વખત જ આવી ઘટના બની છે. ભારતીય કેપ્ટને છેલ્લી વખત 2023ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીત્યો હતો, ત્યારે ટીમના કેપ્ટન રોહિત શર્મા હતા. ત્યારથી લગભગ બે વર્ષ વીતી ગયા છે, પરંતુ કોઈ પણ ભારતીય કેપ્ટન વન-ડેમાં ટોસ જીતી શક્યો નથી. રોહિત શર્મા હોય, શુભમન ગિલ હોય કે પછી કેએલ રાહુલ, કેપ્ટન બદલાયા પણ ટીમની કિસ્મત બદલાઈ નહીં.ટોસ હાર્યા બાદ કેએલ રાહુલે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, “સાચું કહું તો, તેનાથી ઘણું દબાણ છે કારણ કે અમે લાંબા સમયથી ટોસ જીત્યા નથી. પણ તેમાં કોઈ શું કરી શકે છે.” જોકે, તેણે ઉમેર્યું કે છેલ્લી મેચમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે જ લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે. રાહુલે કહ્યું કે ભારતમાં હાલ ઝાકળ પડી રહી છે, પરંતુ બોલરોએ તેના માટે રણનીતિ બનાવી છે અને છેલ્લી મેચના પ્રદર્શનથી ટીમનો આત્મવિશ્વાસ ઉંચો છે.

