Ahmedabad,તા.20
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે સીરિઝ 3-1થી જીતી લીધી. આ ફોર્મેટમાં ભારતનો આ સતત આઠમી સીરિઝ વિજય છે. ઓગસ્ટ 2023 પછી ભારતે T20 સીરિઝ/ટુર્નામેન્ટ હાર્યો નથી. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામે ભારતની સીરિઝ જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, પરંતુ તેમને કે અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો નહીં. આ એવોર્ડ બીજા ખેલાડીને મળ્યો.
તિલક વર્મા સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા, તેણે ચાર મેચમાં 186 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યા હતા. અભિષેક શર્માએ મોટા રન ન બનાવ્યા હોવા છતાં, ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે, વરુણ ચક્રવર્તીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે દરેક મેચમાં શાનદાર બોલિંગ કરી હતી.
વરુણ ચક્રવર્તીએ ચાર મેચમાં કુલ 10 વિકેટ લીધી. તેની સરેરાશ 15 ઓવરમાં લગભગ 11 હતી. અમદાવાદમાં રમાયેલી અંતિમ મેચમાં વરુણ ચક્રવર્તીએ ચાર બેટરોને આઉટ કર્યાં હતા. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે, તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. વરુણ પછી બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર દક્ષિણ આફ્રિકાનો લુંગી એનગીડી હતો, જેણે છ વિકેટ લીધી હતી.
પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે જાહેર થયા બાદ વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કે, ‘તે એક ખૂબ જ હાઈ ઈન્ટેસિટી મેચ હતી અને કદાચ આખી સીરિઝની શ્રેષ્ઠ હતી. મને તે રમવાની ખરેખર મજા આવી. મને જે ભૂમિકા સોંપવામાં આવી છે, તેમાં મારી પ્રાથમિકતા હંમેશા વિકેટ લેવાની હોય છે. તેથી, જ્યારે પણ મને બોલ મળે છે, ત્યારે મારી માનસિકતા આક્રમક બનવાની અને પ્રભાવ પાડવાની હોય છે.’

