Hyderabad,તા.18
હૈદરાબાદમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ગઈકાલે રવિવારે મોટી દુર્ઘટના ઘટી હતી. રામંતાપુર વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરમિયાન અચાનક રથ ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો. જેના લીધે કરંટ લાગતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કરંટમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ સામેલ છે.
આ દુર્ઘટનામાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે ચાર લોકો ગંભીર રૂપે ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ગઈકાલે રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ રામંથપુર વિસ્તારમાં થઈ હતી. મૃતકોની ઓળખ ક્રિષ્ના યાદવ, શ્રીકાંત રેડ્ડી, રૂદ્ર વિકાસ, સુરેશ યાદવ અને ક્રિષ્ના તરીકે થઈ છે.