Jamnagar તા ૨૭
જામનગર માં સાત રસ્તા સર્કલ પાસે ગઈકાલે સાંજે એક એસ.ટી. બસ અને બાઈક વચ્ચે આકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બે યુવાનો ઘાયલ થયા હતા, અને તેમાં એક યુવાન નો પગ ભાંગ્યો છે. જામનગરની પોલીસ ટુકડી તથા એસ.ટી ડિવિઝન ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવને લઈને ટ્રાફિક જામ થયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસેથી પસાર થઈ રહેલી જીજે ૧૮ ઝેડ ૩૮૬૦ નંબરની દ્વારકા રૂટની એસ.ટી. બસ અને જી.જે. ૧૦ સી.૮૭૪૯ નંબરના બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા બે સાઢુભાઈ પ્રેમજીભાઈ વસંતભાઈ ભદ્રા (૨૫) અને જય ભાઈ બગડા (ઉંમર વર્ષ ૩૦) કે જેઓ ઘાયલ થયા હતા. ઉપરોક્ત અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થયું હતું, અને ૧૦૮ ની ટીમને બોલાવી લેવાયા બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જયભાઈ નામના યુવાન નો પગ ભાંગ્યો હોવાથી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, જ્યારે બીજો યુવક પ્રેમ ભદ્રા ઘાયલ થયો હોવાથી સારવાર લેવી પડી હતી.
આ બનાવની જાણ થતાં એસ.ટી. ડિવિઝનની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, ઉપરાંત સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમ પણ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને આ અકસ્માતના બનાવ અંગે પ્રેમભાઈ ભદ્રાની ફરિયાદ ના આધારે એસટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
સાત રસ્તા વિસ્તારમાં થોડો સમય માટે ટ્રાફિકજામ થયો હતો, જેને ટ્રાફિક શાખા ની ટુકડીએ પૂર્વવત બનાવ્યો હતો.