Mumbai,તા.૨૮
બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ’કાંટા લગા’ ગીતથી હેડલાઇન્સમાં આવેલી શેફાલી જરીવાલાને બિગ બોસ ૧૩ માં પણ જોવા મળી હતી. શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલાને અચાનક છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેને અંધેરી લોખંડવાલા વિસ્તારની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. શેફાલી જરીવાલનો જન્મ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો અને તે ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી-નૃત્યકાર હતી. શેફાલીને ૨૦૦૨ માં ’કાંટા લગા’ ગીતના રિમિક્સ વીડિયોથી ખ્યાતિ મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. આ ગીતની લોકપ્રિયતા પછી, તે ’કાંટા લગા ગર્લ’ તરીકે પણ જાણીતી થઈ. શેફાલીએ બિગ બોસ ૧૩ માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી. શેફાલીના મૃત્યુના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા. તાત્કાલિક તબીબી સહાય છતાં, તેણીને મૃત જાહેર કરવામાં આવી. હોસ્પિટલના રિસેપ્શનિસ્ટે શેફાલીના મૃત્યુની પુષ્ટિ કરી છે. એમ પણ જણાવ્યું હતું કે શેફાલીને પાછળથી બીજી હોસ્પિટલ (કૂપર) લઈ જવામાં આવી હતી. પત્રકાર વિક્કી લાલવાણીએ આ મોટી ઘટના વિશે વિગતવાર માહિતી આપતી એક પોસ્ટ શેર કરી. તેમણે શેર કર્યું, ’હું પુષ્ટિ કરી શકું છું કે આ પોસ્ટના લગભગ ૪૫ મિનિટ પહેલા તેણીને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં (સ્ટાર બજાર અંધેરી સામે) મૃત હાલતમાં લાવવામાં આવી હતી. શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે, ’શેફાલીનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું. તેના પતિ અને કેટલાક અન્ય લોકો મૃતદેહ સાથે હતા.’ અમે ફોન સંભાળનારા ઇર્સ્ં ને પૂછ્યું અને ફક્ત એટલું જ કહ્યું, ’વધુ માહિતી માટે, કૃપા કરીને ડૉ. વિજય લુલ્લા (કાર્ડિયોલોજિસ્ટ) સાથે વાત કરો.’
ટીવી સેલેબ્સ અલી ગોની, રાજીવ આદતિયા સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સે શેફાલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ટીવી જગતના સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શોક વ્યક્ત કર્યો છે. અલી ગોનીએ એક પોસ્ટ શેર કરીને લખ્યું, આરઆઇપી બીજી તરફ, રાજીવ આદતિયાએ લખ્યું, ’આ ખૂબ જ દુઃખદ છે.’ અભિનેત્રી મોનાલિસાએ પોતાનો આઘાત વ્યક્ત કર્યો અને લખ્યું, ’શું?’ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી શેફાલીના નિધન વિશે જાણીને સ્તબ્ધ થઈ ગઈ. તેણીએ એકસ પર લખ્યું, ’શેફાલી વિશેના સમાચાર સાંભળીને હજુ પણ આઘાત લાગ્યો. ખૂબ જ વહેલા ગયા. તેના પતિ અને પરિવાર માટે ખૂબ જ દુઃખદ.’ તેના અચાનક નિધનથી મનોરંજન ઉદ્યોગ અને તેના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેના નિધન અંગે પરિવાર તરફથી વધુ વિગતો અને સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. પરાગને શનિવારે મોડી રાત્રે મુંબઈના અંધેરી વિસ્તારમાં કૂપર હોસ્પિટલ છોડતા જોવા મળ્યો હતો, તે ખૂબ જ દુઃખી દેખાતો હતો. શેફાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા પછી તે ઘરે જતો હતો ત્યારે તે ખૂબ જ દુઃખી દેખાતો હતો. ભાવનાત્મક દ્રશ્યો હવે ઓનલાઈન સામે આવ્યા છે, જેના કારણે ચાહકો શોકમાં ડૂબી ગયા છે.