New Delhi, તા.25
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે આજથી શરુ થયેલા સંસદના શિયાળા સત્રના પ્રથમ દિવસે જ અદાણી મુદ્દો છવાઇ ગયો હતો અને લોકસભા તથા રાજ્યસભામાં વિપક્ષોએ અદાણી ઉપરાંત વકફ સંશોધન ખરડા મુદ્દે ચર્ચાની માંગણી સાથે જબરી ધાંધલ-ધમાલ મચાવતા લોકસભા અને રાજ્યસભા મુલત્વી રાખવાની ફરજ પડી હતી.
-છેલ્લા બે દિવસથી ગાજી રહેલા અદાણી મુદાની અસર સંસદના શિયાળુ સત્રમાં દેખાશે તે નિશ્ચિત હતી અને વિપક્ષોએ લોકસભામાં આ મુદ્ે સભા મોકુફી દરખાસ્ત પણ રજુ કરી હતી પરંતુ અધ્યક્ષે તેના પર વિચારણા અંગે કોઇ સંકેત આપે તે પૂર્વે જ વિપક્ષોએ અદાણી ગ્રુપ દ્વારા ભારતમાં સોલાર વિજળી વેચવા મુદે જે લાંચ આપ્યાનો આક્ષેપ છે તેને આગળ ધરીને સંસદમાં ચર્ચાની માંગણી કરી હતી.
જો કે સરકાર તેમાં કોઇ રીતે સહમત થવા તૈયાર ન હોવાનો સંકેત આપી દીધો હતો. લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ સત્રના બે સમયગાળા વચ્ચે દિવંગત થયેલા સાંસદોને અન્ય મહાનુભાવોને શ્રધ્ધાંજલિ આપતો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
બાદમાં વિપક્ષોએ અદાણી મુદ્દે હંગામો શરુ કરી દેતા ગૃહ મુલત્વી રાખ્યું હતું. રાજ્યસભામાં પણ વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ અદાણી મુદ્દે ચર્ચાની માંગણી કરી હતી પરંતુ સભાપતિ જગદીપ ધનખડએ નિયમનો હવાલો આપીને ચર્ચાની માંગણી ફગાવી દીધી હતી અને વિપક્ષોએ ધમાલ ચાલુ રાખતા ગૃહ આજના દિવસે મુલત્વી રાખવામાં આવ્યું હતું. હવે અદાણી મુદ્દે સંસદના શિયાળુ સત્રમાં પણ કામકાજ થશે કે કેમ તે પ્રશ્ન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં આવતીકાલે સંસદના સંવિધાનની 75મી વર્ષગાંઠની ઉજવણી બન્ને સદનોમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવાની સાથોસાથ વિપક્ષોને પણ આડે હાથે લેતા કહ્યું કે જેને જનતાએ વારંવાર ફગાવ્યા છે અને નકાર્યા છે તેઓ દેશના લોકતંત્રનું અનાદર કરીને સંસદ ચાલવા દેતા નથી.
શ્રી મોદીએ કહ્યું કે, મુઠ્ઠીભર લોકો સંસદને કન્ટ્રોલ કરવાની વારંવાર કોશિષ કરે છે. સંસદમાં સ્વસ્થ અને વધુને વધુ ચર્ચા થાય યુવા અને નવા સાંસદોને પણ ચર્ચામાં ભાગ લેવાની તક મળે તે માટે સૌએ પ્રયાસ કરવા જોઇએ પરંતુ કમનશીબે કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદમાં ધાંધલ-ધમાલ મચાવીને સંસદને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ પોતાના હેતુમાં સંસદને રોકવામાં સફળ થશે નહીં. દેશની જનતા તેનો વ્યવહાર જોઇ રહી છે. સૌથી વધુ પીડા એ થાય છે કે નવા સાંસદો, નવા વિચાર અને નવી ઉર્જા સાથે આવે છે પરંતુ તેમના અધિકારને કેટલાક લોકો દબાવી દે છે.
શ્રી મોદીએ કહ્યું કે એક બે વાર નહીં 80 વાર તેમને જનતાએ નકાર્યા છે તેમ છતાં તેઓ સંસદમાં ચર્ચા થવા દેતા નથી. લોકતંત્રની ભાવનાનું સન્માન કરતા નથી શ્રી મોદીએ કહ્યું કે 2024ના લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હાલના પરિણામોએ લોકતંત્રને વધુ તાકાત આપી છે અને આપણી તેની ભાવનાનું સન્માન કરવું જોઇએ.