Ahmedabad,તા.24
અખાત્રીજ અટલે શુભકાર્ય માટેનું વણજોયું મુહૂર્ત. અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. દર વર્ષે અખાત્રીજના દિવસે શુભ મુહૂર્તમાં સોનાની ખરીદી કરવા અથવા તો ડીલીવરી મેળવવા માટે એડવાન્સમાં બુકિંગ થઈ જતું હોય છે.
ચાલુ વર્ષે એડવાન્સ બુકિંગની ઈન્કવાયરી પણ શરૂ થઈ નથી. સોની બજારના વેપારીઓને હવે અખાત્રીજના દિવસે કેવો ધંધો રહેશે તેની ચિંતા સતાવી રહી છે. હવે ગ્રાહકોની સાથે વેપારીઓ પણ સોનાના ભાવ ઘટે તેની વાટ જોઇ રહ્યા છે. અમદાવાદ સહિત દેશભરના સોના -ચાંદી બજારમાં અખાત્રીજે તેજી જ જોવા મળતી હતી. ચાલુ વર્ષે સોના અને ચાંદી બજારમાં અસાધારણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
હાલ સોનાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેને કારણે લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. બજારમાં મંદી જોવા મળી રહી છે. બજારના જાણકારોમાં ચર્ચા છે કે, કેટલાક વેપારી કાઉન્ટર ચાલુ રહે અને ધંધો દેખાય તે માટે ઓળખીતા ગ્રાહકોને ચોક્કસ ડિસ્કાઉન્ટ સાથે સોનું ઓફર કરી રહ્યા છે.
ગ્રાહકો ડિસ્કાઉન્ટ સાથે સોનું ખરીદી પણ રહ્યા છે. બીજી તરફ સ્થિતિ કંઈક જુદી છે. સૂત્રોના મતે સોનાના ભાવમાં એક મહિનામાં જ મોટી વધઘટ થઈ છે. જેને લઈને સૌ કોઈ થોભો અને રાહ જોવોની નિતી અપનાવી રહ્યા છે. વેપારીઓ પણ હવે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સ્ટેબલ થાય તેની રાહ જોઈને બેસી રહ્યા છે. સોનાના ભાવ ઐતિહાસીક રૂ.1,01,000 સુધી પહોંચી ગયા છે. જ્યારે ચાંદી પણ 1,00,000 સુધી જઈને 96,000 સ્થિર થયા છે. હવે આ ભાવે અખાત્રીજમાં લોકો ખરીદી કરવા આવશે કે નહિ તે ચિંતા વેપારીઓને સતાવી રહી છે.