ટી૨૦ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે : રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ટીમનું નેતૃત્વ કરશે
New Delhi, તા.૨૬
ભારતીય ક્રિકેટ બોર્ડે શુક્રવારે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી૨૦ સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. આફ્રિકા વિરુદ્ધ ચાર મેચની ટી૨૦ સિરીઝ માટે બીસીસીઆઈએ ૧૫ સભ્યોની ટીમ પસંદ કરી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૮ નવેમ્બરથી ટી૨૦ સિરીઝ રમાશે.
દક્ષિણ આફ્રિકા સામે ટી૨૦ સિરીઝમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન સિવાય યુવા ખેલાડી તિલક વર્મા, રિંકૂ સિંહ અને કર્ણાટકના ફાસ્ટ બોલર વિશાક વિજયકુમારને તક આપવામાં આવી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમ જાહેર કરવામાં આવી છે.
નિતીશ રેડ્ડી, હર્ષિત રાણા અને અભિમન્યુ ઈશ્વરનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં તક મળી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે કેએલ રાહુલને પણ ટીમમાં રાખવામાં આવ્યો છે. તો અન્ય ઓપનરના વિકલ્પ તરીકે અભિમન્યુ ઈશ્વરનને સામેલ કરવામાં આવ્યો છે. સ્પિનર અક્ષર પટેલને બહાર કરી દેવામાં આવ્યો છે, જ્યારે કુલદીપ યાદવ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે નહીં.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજય કુમાર, અવેશ ખાન, યશ દયાલ.
ભારત-આફ્રિકા ટી૨૦ સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી૨૦, ૮ નવેમ્બર
બીજી ટી૨૦, ૧૦ નવેમ્બર
ત્રીજી ટી૨૦, ૧૩ નવેમ્બર
ચોથી ટી૨૦, ૧૫ નવેમ્બર
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ, ૨૨-૨૬ નવેમ્બર, પર્થ
બીજી ટેસ્ટ, ૬-૧૦ ડિસેમ્બર, એડિલેડ
ત્રીજી ટેસ્ટ, ૧૪-૧૮ ડિસેમ્બર, બ્રિસ્બેન
ચોથી ટેસ્ટ, ૨૬-૩૦ ડિસેમ્બર, મેલબોર્ન
પાંચમી ટેસ્ટ, ૩-૭ જાન્યુઆરી, ૨૦૨૫, સિડની.