Mumbai ,તા.09
મુંબઈમાં એક લોકલ ટ્રેનમાં સોમવારે સવારે એક દુ:ખદ ઘટના બની હતી. આ દુર્ઘટના મુંબઈના દીવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે થઈ હતી. અહીં ભારે ભીડ હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે પાંચ મુસાફરોના મોત થયા હતા. અકસ્માત સમયે ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી અને કેટલાક મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા.
આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે બોર્ડે દ્વારા તાત્કાલિક મુસાફરોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે. તેનો હેતુ એ છે કે, ચાલતી ટ્રેનમાં ન તો દરવાજા ખુલ્લા રહેશે અને ન કોઈ મુસાફર લટકીને મુસાફરી કરશે.
પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 8 લોકો ટ્રેનમાંથી પડી ગયા હતા, જેમાંથી પાંચના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્ય રેલ્વેનું કહેવું છે કે, થાણેના મુમ્બ્રા રેલ્વે સ્ટેશન પર કેટલાક મુસાફરો CSMT તરફ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા.
મળતી માહિતી પ્રમાણે મુસાફરોના પડી જવાનું કારણ વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રેલ્વે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમજ આ ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના કારણે સ્થાનિક સેવાઓને મોટી અસર થઈ છે.
ટ્રેનમાં ખૂબ ભીડ હતી, જેના કારણે આ મુસાફરો ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં મુસાફરોને ટ્રેનમાંથી પડતા જોઈ શકાય છે. આ મુસાફરોને ટ્રેક પરથી ઉપાડીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા. તેમાં જોઈ શકાય છે કે, મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના કપડાં ફાટી ગયા હતા.