રીબડાનાં ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટમાં ગત તા.૯મીએ ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલની જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં પૂર્વ જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા, રાજકોટ શહેર ઝોન-૨ના ડીસીપી જગદીશ બાંગરવા, ગોંડલનાં ડીવાયએસપી કે. જી. ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી. પરમાર ઉપરાંત જયરાજસિંહનાં માણસો દિગપાલસિંહ, જેકીભાઈ, મહિપતસિંંહ, હેમભા સહિત ૨૮ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે.
ગોંડલ કોર્ટમાં કરેલી ફરિયાદમાં સગીરાએ આક્ષેપ કર્યો છે કે, ‘મને જયરાજસિંહનાં માણસો જે-તે સમયે પોલીસ કે કોર્ટ સમક્ષ સત્ય હકીકત કહેવા દેતા નહોતા. મને દબાણ કરતા હતા અને તે લોકો કહે તે નામ નિવેદનમાં લખાવવા માટે ધમકાવતા હતા. હું અગાઉ કહેતી હતી કે આ લોકો મારાં ઘર સુધી પહોંચી જશે. એ જ રીતે મારા પિતાને દબાણ કરીને વીડિયો બનાવવા મજબુર કરાયા હતા. આ કાવતરાંમાં અમારા ગામનાં સરપંચ પણ સામેલ છે.’
સગીરાનાં વકીલ ભૂમિકા પટેલે કહ્યું કે, ‘સગીરાને ગોંડલની શ્રી હોટલમાં બે દિવસ ગોંધી રખાઇ હતી. અમે શ્રી હોટેલ, ડીવાયએસપી કચેરી તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનાં સીસીટીવી ફૂટેજની માંગ કરી છે.’