Mumbai,તા.15
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવતને આ ટુર્નામેન્ટમાંથી ડિસક્વાલિફાઈ કરવામાં આવ્યો છે. અમન સેહરાવતનું વજન નિર્ધારિત મર્યાદાથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. તે પુરુષોની ફ્રીસ્ટાઈલ 57 કિલો વજન શ્રેણીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો કુશ્તીબાજ અમન સેહરાવતનું વજન 1 કિલો અને 700 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. નિયમો મુજબ, કુશ્તીબાજનું વજન તેની શ્રેણી સાથે બરાબર મેળ ખાતું હોવું જોઈએ. ફક્ત થોડા ગ્રામનો તફાવત તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. નોંધનીય છે કે, આ કારણોસર પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને ડિસક્વાલિફાઈ કરાઈ હતી. ત્યારબાદ ટાઇટલ મેચ પહેલા વિનેશનું વજન 50 કિલો 100 ગ્રામથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.અમન સેહરાવત 25 ઓગસ્ટના રોજ અન્ય ભારતીય કુશ્તીબાજો સાથે ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યો હતો. તેની પાસે વજન ઉતારવા માટે પૂરતો સમય હતો. 22 વર્ષીય અમન સેહરાવત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લે છે. આ વખતે ભારત માટે મેડલના સૌથી મોટા દાવેદારમાંના એક તરીકે અમન સેહરાવતને ગણવામાં આવતો હતો.અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિક્સ (2024)માં ભાગ લેનાર એકમાત્ર ભારતીય પુરુષ કુશ્તીબાજ હતો. અમને મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુઅર્ટો રિકોના ડેરિયન તોઈ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો.