આ જામીન અરજીનો વિરોધ કરતાં તપાસનીશ અધિકારીએ એફિડેવિટ કરી એવી રજૂઆત કરી છે કે, આરોપી અકસ્માત કરવાની ટેવવાળો છે
Ahmedabad, તા.૩
બેફામ કાર હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર નબીરા તથ્ય પટેલે વધુ એક વખત જામીન માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. આ જામીન અરજીનો વિરોધ કરતાં તપાસનીશ અધિકારીએ એફિડેવિટ કરી એવી રજૂઆત કરી છે કે, આરોપી અકસ્માત કરવાની ટેવવાળો છે. અગાઉ બે અકસ્માતના ગુના આચર્યા હતા. ત્યારબાદ ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત કરીને નવ જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઉપરાંત આરોપી તથ્ય પટેલને જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી. આ મામલે કોર્ટ ૩ ડિસેમ્બરના રોજ ચુકાદો જાહેર કરશે. ઇસ્કોન બ્રિજ પર ગત તા.૨૦મી જુલાઈ ૨૦૨૩ના રાતના ૧૪૨.૫ કિલોમીટરથી વધુની સ્પીડે બેફમ રીતે જેગુઆર ગાડી તથ્ય પટેલે હંકારીને નવ નિર્દોષોને કચડી નાખીને મોતના ઘાટ ઉતારવાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા તથ્ય પટેલે રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરી દીધી છે, પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ. જો કે, અરજીની સામે મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપીએ ૯ નિર્દોષોનો ભોગ લીધો છે, એક ભોગ બનનાર તો હજુ પણ બરોબર બોલી શકતો નથી, આવા કિસ્સા વધી રહ્યાં છે, રોજ નબીરાઓ અકસ્માત કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે, આરોપી સામે પુરતા પુરાવા છે, કેસ નંબર પણ પડી ચુક્યો છે, આરોપી ગુનો કરવા ટેવાયેલ છે તેથી જામીન પર મુક્ત ન કરવો જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે ચુકાદો મંગળવાર પર મુલતવી રાખ્યો છે.