Ahmedabad,તા.06
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ટાગોરહોલ અને ઈવેન્ટ સેન્ટર પાસેના પ્લોટમાં રુપિયા 750 કરોડના ખર્ચે કન્વેન્શન,કલ્ચરલ-બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે.આ અંગે ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજય સરકાર રુપિયા 500 કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રુપિયા 250 કરોડનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન વેડીંગ માટે વિકસાવવાનું આયોજન છે. 300 રુમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કન્વેશન,કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર મળે એ માટે તૈયાર કરવામાં આવેલા ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ મુજબ, ઈવેન્ટ સેન્ટર, ટાગોરહોલ તથા મ્યુઝિયમ જયાં આવેલા છે તે વિસ્તારમાં કન્વેન્શન સેન્ટર બનાવવાથી શહેરને આગવી ઓળખ મળવાની સાથે અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું,કન્વેન્શન સેન્ટરના ટ્રાફિક માટે આશ્રમ રોડને જોડતા ટી.પી.રોડને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.રિવરફ્રન્ટ ખાતે મલ્ટિલેવલ કાર પાર્કિંગ આવેલુ છે. આ ઉપરાંત પાર્કિંગ અંગે વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.પ્રોજેકટ પુરો થયા પછી સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના આકર્ષણમાં વધારો થવા પામશે.
ચાર હજાર ચોરસ મીટરમાં કન્વેન્શન-એક્ઝિબિશન હોલ બનશે
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર પાસેના પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્વેન્શન હોલ તથા ચાર હજાર ચોરસ મીટર જગ્યામાં એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે.આ ઉપરાંત 1500 વ્યકિતઓ બેસી શકે એ મુજબનું પરફોર્મિંગ આર્ટ થીયેટર, 300થી 400 વ્યકિતઓ માટે થીયેટર ડોમ, 600થી 800 વ્યકિતઓ માટેનું એમ્ફી થીયેટર,પાંચ હજાર ચોરસ મીટર જગ્યામાં કલ્ચરલ પ્લાઝા વિકસિત કરવામાં આવશે. વિવિધ વિષય ઉપર મીટીંગ કરી શકાય એ માટે વીસ રુમની સુવિધા તેમજ એક હજાર કાર પાર્ક કરી શકાય એ મુજબનુ પાર્કિંગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.