Ahmedabad ,તા.૧૯
Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં થઈ રહેલા બોગસ ઓપરેશનની ફરિયાદની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ૬ આરોપીઓની ધરપકડ કરી છે. કાર્ડ બનાવી આપનારા શખ્સોમાં નિમેષ ડોડિયા, મહંમદફઝલ શેખ, નરેન્દ્રસિં ગોહિલ, મોહંમદઅસ્પાક શેખ, ઇમ્તિયાઝ અને ઇમરાન જાબીર હુસૈનની પીએમજેએવાય યોજનાના કાર્ડ બનાવવાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, હોસ્પિટલના અધિકારીઓ દર્દીઓ પાસેથી પૈસા લઈને માત્ર ૧૫ મિનિટમાં જ નકલી પીએમજેએવાય આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા. આ કાર્ડનો ઉપયોગ કરીને દર્દીઓને પીએમજેએવાય યોજનાનો લાભ અપાવવામાં આવતો હતો. આ કૌભાંડમાં હોસ્પિટલના અધિકારીઓ ઉપરાંત એક એથિકલ હેકર પણ સામેલ હતો, જે આ કાર્ડ બનાવવાનું કામ કરતો હતો. કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે ડેટા મેળવવા બે કોમ્પ્યુટર તથા એનજીઓગ્રાફી કરેલા દર્દીઓના ડેટાની તપાસ કરવા ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનું કામ સંભાળતા કર્મચારી મેહુલ પટેલની પૂછપરછ કરતા પીએમજેએવાય યોજનાના કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત અમદાવાદના અમદુપુરામાં રહેતા નિમેષ ડોડીયા દ્વારા રૂ ૧૫૦૦માં દર્દીઓના પીએમજેએવાય યોજનાના આયુષ્યમાન કાર્ડ બનાવતો હતો. નિમેષ એથિકલ હેકર્સ છે જેથી પીએમજેએવાય કાર્ડના પોર્ટલમાં ખામી રહી જાય છે તેનો લાભ લઈને કાર્ડ બનાવતો હતો. માત્ર ૧૫ મિનિટમાં પીએમજેએવાય કાર્ડ બનાવી દેતા હોવાનું ખુલ્યું છે. આ કૌભાડ કરનારા પાસેથી ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ એ પોતાનું આયુષ્યમાન કાર્ડ બનાવીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કેસમાં વધુ એક ગુનો નોંધીને ૬ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીએ અન્ય રાજ્યો અને ગુજરાતના જુદા જુદા વોટ્સએપ તથા ટેલિગ્રામ ગ્રુપમાં પીએમજેએવાય યોજનાના કાર્ડનું નેટવર્ક બનાવ્યું હતું. આ નેટર્વકમાં કાલુપુરનો મોહમદ ફઝલ, વટવાનો અશ્ફાક ભાવનગરનો નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝ તથા સુરત ના ઇમરાનનું કનેક્શન ખુલતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બિહારના રાશીદ નામના વ્યક્તિનું પણ નામ ખુલ્યું છે. જે ખાનગી પોર્ટલથી કાર્ડ બનાવતો હતો.
જ્યારે અમદાવાદમાં પીએમજેએવાય યોજના માટે જરૂરી આયુષમાન કાર્ડનો કોટ્રાક્ટ ધરાવતી એન્સર કોમ્યુનિકેશન કંપનીના કર્મચારી નિખિલ પારેખ લોગીન અને યુઝર આઇડી તથા લોગીન ઓટીપી આરોપી નરેન્દ્રસિંહને આપીને ગેરકાયદેસર દસ્તાવેજો વગર આયુષ્યમાન કાર્ડ બનાવતા હતો. આ નરેન્દ્રસિંહ નિખિલ પારેખને આઇડી માટે દર મહિને ૮ હજારથી ૧૦ હજાર રકમ ચૂકવતો હતો. આ આરોપી રેશનકાર્ડમાં માસ્ટર કી થી બીજા નામમાં એડ કરીને કાર્ડ તૈયાર કરતા હોવાનો ખુલાસો થયો છે. આ આરોપીઓએ ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા આયુષ્યમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દૂરોપયોગ કરી વેબસાઈટ પર જઈને સોર્સ કોર્ડ સાથે ચેડાં કરી બનાવ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચના જેસીપીશરદ સિંઘલે જણાવ્યું કે, આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલી રહી છે.