Ahmedabad,તા.11
કઠલાલ સિવીલ કોર્ટમાં સરકારી વકીલ અને મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતાં વકીલે વચેટીયા મારફતે રૂા.50 લાખની લાંચની માંગણી કરી હતી. આ પૈકી રૂા.20 લાખની લાંચ સ્વીકારતા નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોકસની દુકાનમાંથી બે વકીલ અને વચેટીયાની ધરપકડ થઈ છે.
કઠલાલ સિવીલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્ર ભરતભાઈ ગઢવીએ જમીનના કેસમાં એસીબીના ફરીયાદીની તરફેણમાં ચુકાદો લાવી આપવા માટે રૂા.50 લાખની માંગણી કરી હતી. કામ થાય તે પહેલા રૂા.20 લાખ ચુકવવાના અને ચુકાદો તરફેણમાં આવ્યા બાદ બાકીનાં રૂા.30 લાખ આપવાનું નકકી કર્યુ હતું.
સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી (રહે.ઘાટલોડીયા) મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતાં તેના મળતીયા વકીલ સુરેશ પ્રહલાદભાઈ પટેલ (રહે.નરોડા) અને વિશાલ પટેલ (રહે.નરોડા) કે જે વચેટીયો હતો. તે ત્રણેયની એસીબીએ નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોક્ષની દુકાન નજીકથી રૂા.20 લાખની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ દબોચી લીધા છે.
કેટલાંક સરકારી વકીલોની શંકાસ્પદ ભુમિકા અંગે ભુતકાળમાં અનેક રજુઆતો બાર કાઉન્સીલ સમક્ષ, કોર્ટ સમક્ષ અને હાઈકોર્ટ સમક્ષ અરજી સ્વરૂપે થઈ છે તેમ છતાંય કોઈ દાખલારૂપ કામગીરી કરવામાં આવી હોય તેવું ધ્યાને આવ્યુ નથી.એસીબીએ કઠલાલ સિવીલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી અને તેમનાં લાંચીયા સાગરીતો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.