Ahmedabad,તા.૧૬
આ વખતે એએમસીને ફ્લાવર શો ૨૦૨૫ ફળ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલો ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી આજ દિન સુધી ૮ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેનાથી એએમસીની તિજોરીમાં ૬ કરોડ જેટલી માતબર રકમ આવી છે. નોંધનીય છે કે, એએમસીએ ફ્લાવર શો પાછળ ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોના ૧૨ દિવસમાં જ છ કરોડ રૂપિયાની આવક થઈ છે. આપને જણાવીએ કે, અત્યાર સુધી સૌથી વધુ મુલાકાતીઓનો ઘસારો મંગળવારે જોવા મળ્યો હતો. જેના કારણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે એએમસીની તિજોરી છલકાઈ છે. કુલ ૧,૦૧,૮૮૯ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેતાં એએમસીની તિજોરીમાં એક જ દિવસમાં ૮૬ લાખ રૂપિયા આવ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલા ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે મુલાકાતીઓની સંખ્યાએ અલગ રેકોર્ડ સર્જ્યો હતો. ૧૪મી જાન્યુઆરીની રજાનો લાભ લઇ ૧.૩૨ લાખ જેટલા મુલાકાતીઓ ઉમટી પડતાં રિવરફ્રન્ટના રોડ અને ફ્લાવર શોમાં જાણે કિડિયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
સ્ટે. કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ ઉત્તરાયણના દિવસની અપડેટ આપતા જણાવ્યું હતું કે, ‘‘ઉત્તરાયણનો તહેવાર અલગ રીતે ઉજવવા માંગતા નાગરિકો ફ્લાવર શો નિહાળવા ઉમટી પડ્યા હતા. ૧૪મી જાન્યુઆરીના રોજ સવારથી જ માનવ મહેરામણ ઉમટવાનું શરૂ થયું હતું. આ દિવસે સાંજ સુધીમાં તો ભારે ભીડ જામી હતી. રાત્રે છેલ્લા આંકડા મેળવતા ૧.૩૨ લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હોવાનું જણાયું હતું. જેમાં એક જ દિવસમાં ૮૬ લાખની આવક થઈ હતી. જેમાં ૪૮ લાખ રોકડ, ૧૨ લાખ યુપીઆઇથી અને ૨૬ લાખ ઓનલાઇનથી આવક થઈ હતી.’તેમણે જણાવ્યું હતું કે, ‘‘૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રી-વેડિંગ શૂટિંગની મંજૂરી આપવામાં આવી છે. જેના માટે સવારે ૭થી ૯ વાગ્યા સુધી અને સાંજે ૬થી ૧૨ વાગ્યા સુધીનો સમય ફાળવવામાં આવશે. જેનો ચાર્જ અનુક્રમે ૨૫૦૦૦ અને ૩૫૦૦૦ રૂપિયા લેવામાં આવશે. પ્રિ-વેડિંગ શૂટિંગ માટે વધુમાં વધુ ૧૦ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.’’